કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, પાંચ ન્યાય – 25 ગેરંટી
મહિલાઓ યુવાનો શ્રમિકો અને ખેડૂતો માટે અનેકવિધ વચનોની લ્હાણી
2024 ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવારે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. તેમાં પાંચ ન્યાય આધારિત 25 ગેરંટી ની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અને મેનીફેસ્ટો કમીટીના અધ્યક્ષ પી. ચિદમ્બરમે ,’ યુવા ન્યાય, કિસાન ન્યાય, નારી ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાય ‘ ઉપર આધારિત અલગ અલગ ક્ષેત્રો અને સમુદાયો માટે વચનોની લહાણી કરી હતી. આ ઘોષણાપત્ર વર્ક,વેલ્થ અને વેલફેરના ત્રણ સિદ્ધાંતો પર આધારિત હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. તેમાં જણાવાયા અનુસાર વર્ક એટલે રોજગારી, વેલ્થ એટલે સામાન્ય માણસની આવક અને વેલ્ફેર એટલે સામાન્ય માણસને સરકારી યોજનાઓનો લાભ.
ઘોષણાપત્રમાં અગ્નિવીર યોજના રદ કરવાનું વચન આપવામાં આવ્યું છે. એ જ રીતે કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શનના વિચારનો પણ વિરોધ કરશે. મતદાન ઇવીએમ દ્વારા જ થશે પરંતુ ઇવીએમ અને વિવિપેટ ની ચબરખીઓની ગણના થશે. કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આર્થિક સામાજિક જાતિ જન ગણના કરાવવાનું પણ વચન આપ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ તથા નોકરીઓમાં આર્થિક રીતે નબળા લોકોને મળતી 10 ટકા અનામતનો લાભ તમામ જાતિ અને સમુદાયોને આપવાનો ઇરાદો જાહેર કરાયો છે. વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો અને વિધવાઓને હાલમાં મળતી મહત્તમ 500 રૂપિયાની સહાય વધારી અને ન્યૂનતમ 1000 કરવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. પુડુચરીને પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો આપવાની ઘોષણાપત્રમાં જાહેરાત કરવામાં આવી છે. મીડિયાને પુનઃપૂર્ણ સ્વતંત્રતા આપવાનો નિર્ધાર પણ વ્યક્ત કરાયો છે. અનુસુચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ તથા ગરીબ સામાન્ય વર્ગ માટે અનામતની 50% ની મર્યાદા દૂર કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે
કોંગ્રેસની ગેરંટી
450 રૂપિયામાં ગેસ સિલિન્ડર
યુવાનોને કેન્દ્ર સરકારની 30 લાખ નોકરી
પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો
મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખની સહાય
કેન્દ્ર સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે 50% અનામત
2025ની વિધાનસભાની ચૂંટણીથી મહિલાઓને 33% અનામત
જાતિ આધારિત જન ગણના
25 વર્ષથી નીચેના ડિપ્લોમા ધારકો તથા સ્નાતકોને
ખાનગી તથા સરકારી ક્ષેત્રમાં એક વર્ષની ઇન્ટર્નશિપ અને એક લાખનું મહેનતાણું.
સ્ટાર્ટ અપ માટે ફંડ ઓફ ફંડ યોજના હેઠળ 5 000 કરોડની ફાળવણી
વરિષ્ઠ નાગરિકોને રેલવેની ટિકિટમાં કન્સેસન
દેશભરમાં 25 લાખ સુધીનો તબીબી ઈલાજ મફત
પક્ષ પલટા વિરોધી કાયદામાં સંશોધન