રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, કાલે ઉગ્ર દેખાવો
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યુ ભાજપે કાયરતાનું પ્રદર્શન કર્યું છે : ભાજપ યુવા મોરચાના કાર્યકરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ : રાહુલ ગાંધીને ગુજરાત આવવા આમંત્રણ
અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના સંદર્ભે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપે સંપૂર્ણ કાયરતા અને ગુંડાગર્દીનું વરવું પ્રદર્શન કર્યું છે.
તેમણે કહ્યું કે, આપણા ગુજરાતની ઉત્તમ પરંપરા છે. લડાઇ વિચારધારા અને સિદ્ધાંતની હોય છે. જતનાની હિત માટેની હોય છે. ગુજરાતમાં ક્યારેય કોઇ પાર્ટીની ઓફિસ પર જઇને તોડફોડ થતી નથી. કોઇ નેતાના ઘરે જોઇને તોડફોડ ક્યારેય થતી નથી. ભાજપે ગુજરાતની પંરપરા અને અસ્મિતાનું ખંડન કર્યું છે. રાત્રે ચાર વાગ્યે અંધારામાં અમારી ઓફિસનો દરવાજો તોડીને અંદર આવીને કાર્યાલાય સળગાવી દેવાનો પ્રયત્ન થયો.
સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ કોંગ્રેસે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને કાર્યકરોનું મનોબળ વધારવા માટે ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે અને આ આમંત્રણને માન આપીને રાહુલ ગાંધી ૬ જુલાઈએ ગુજરાત આવી પણ શકે છે. શક્તિસિંહ ગોહિલે પ્રદેશ નેતાઓ અને કાર્યકરોને મોટી સંખ્યામાં અમદાવાદ આવવા જણાવ્યું છે.
તેમણે કહ્યું હતું કે ભાજપે કૉંગ્રેસ ઓફિસમાં હુમલો કર્યો હતો. હુમલો કરીને ભાજપે ગુજરાતની અસ્મિતાનું હનન કર્યુ છે. કૉંગ્રેસ કાર્યાલયને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પથ્થરબાજી કરવાના ભાજપના ગ્રુપમાં મેસેજ ફરતા કર્યા હતા. કૉંગ્રેસે અમદાવાદ પોલીસને જાણ કરી હતી. શૈલેષભાઈ,અમિતભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી હતી. હિંમતસિંહે પોલીસના અધિકારીઓ સાથે વાત કરી હતી. આત્મસુરક્ષાએ કાયદાએ આપેલ અધિકાર છે.
શક્તિસિંહ ગોહિલે અપીલ કરી હતી કે આવા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. દરમિયાન આજે અમદાવાદના એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં હિમતસિંહની ફરિયાદના આધારે ભાજપ યુવા મોરચાના કાર્યકરો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
રાજકોટ પોલીસની કાર્યવાહી પર શક્તિસિંહે આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજકોટ પોલીસે મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સંસદની કાર્યવાહીને લઈ શક્તિસિંહે નિવેદન આપ્યું હતું કે ભાજપવાળા હિન્દુઓના નામે હિંસા કરે છે .રાહુલ ગાંધીની વાત એકદમ સ્પષ્ટ હતી. રાહુલ ગાંધીના નિવેદનના વીડિયોને ટેમ્પર્ડ કરાયા છે. રાહુલ ગાંધીએ મહાદેવજીના દર્શન કરાવ્યા છે. ભાજપે ભગવાન શિવનું અપમાન કર્યું હતું.