નીટ પેપર લીક સાથે જોડાયેલા બધા જ મામલાની સુનાવણી સીજેઆઈ કરશે
સુપ્રીમ કોર્ટ તરફ તમામ સ્ટુડન્ટ અને વાલીઓની નજર, 8 જુલાઈથી સુનાવણી
નીટ યુજી પેપર લીકનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે. દેશની સૌથી મોટી કોર્ટ પર લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ નજર રાખી રહ્યા છે. આ સમગ્ર મામલાની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચમાં 8 જુલાઈએ થવાની છે.
નીટ યુજી પેપર લીક અંગે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 24 અરજીઓ લિસ્ટ કરવામાં આવી છે. આ તમામ અરજીઓ વિવિધ પ્રકારની છે. તેમાં કોચિંગ સેન્ટર્સ, પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમના વતી કોર્ટની દેખરેખ હેઠળ કેન્દ્રીય એજન્સી અથવા સીટની રચના કરીને તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.
આ સાથે અનેક અરજીઓમાં પરીક્ષા રદ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. જ્યારે કેટલીક અરજીઓમાં આ નિર્ણય લેવાની જવાબદારી સર્વોચ્ચ અદાલત પર છોડી દેવામાં આવી છે. આ ઉપરાંત, એનટીએની ભૂમિકાની અલગ તપાસની પણ માંગ કરવામાં આવી છે અને અરજદારોએ પેપર લીકમાં સામેલ તેના અધિકારીઓ સામે કાર્યવાહી અને સજાની પણ વિનંતી કરી છે.
3 સભ્યોની બેન્ચ કેસની સુનાવણી કરશે
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનાવણી 8મી જુલાઈએ કરશે અને તેમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થશે. પેપર લીક અંગે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નોટિસ આપવામાં આવી છે. સમગ્ર મામલાને લઈને જે હોબાળો મચી ગયો છે તે અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સંસદમાં હંગામો, રસ્તાઓ પર દેખાવો થઈ રહ્યા છે.