ભારતને ખાતર, દુર્લભ ખનિજ અને ટનલ મશીન આપવા ચીન સહમત : અમેરિકાને ભરી પીવા ભારત-ચીને હાથ મિલાવ્યા
ટ્રમ્પની ટેરિફ નીતિનો જવાબ આપવા ભારત અને ચીન નજીક આવી રહ્યા છે.બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા તરફ મહત્વનું પગલું ભર્યું છે. આ બેઠકમાં ચીને ભારતને ખાતર (યુરિયા, એનપીકે, ડીએપી), દુર્લભખનિજો (રેર અર્થ મિનરલ્સ) અને ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નો પુરવઠો ફરી શરૂ કરવા માટે સંમતિ દર્શાવી છે. આ નિર્ણયને બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનો સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગયા મહિને ચીનની મુલાકાત દરમિયાન આ મુદ્દાઓને ઉઠાવ્યા હતા. તેમણે ખાસ કરીને ખેતી માટે જરૂરી ખાતરો, ઓટો પાર્ટ્સ માટે દુર્લભ ખનિજો અને રસ્તા તથા શહેરી માળખાગત વિકાસ માટે ટનલ બોરિંગ મશીનોના પુરવઠાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચીન તરફથી લગભગ એક વર્ષથી આ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ હતો, જેના કારણે ભારતને નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડયો હતો. ચીન ભારતને લગભગ 30 ટકા ખાતરોનો પુરવઠો કરે છે, જે ખેતી ક્ષેત્ર માટે અત્યંત મહત્વનું છે. આ ઉપરાંત, દુર્લભ ખનિજો ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે અને ટનલ મશીનો દેશના માળખાગત વિકાસ માટે આવશ્યક છે.
આ પણ વાંચો : દેશના ટેક્સટાઇલ ક્ષેત્રમાં ખુશીની લહેર : સરકારે કપાસ પરની ઇમ્પોર્ટ ડયુટી 42 દિવસ માટે રદ કરતાં મળી મોટી રાહત
બેઠક દરમિયાન, ભારતે તાઈવાન મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતની તાઇવાન અંગેની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી અને ભારત, વિશ્વના અન્ય દેશોની જેમ, તાઈવાન સાથે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો જાળવી રાખે છે. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચેની ચર્ચા સૌહાર્દપૂર્ણ રહી હતી, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ બેઠકમાં એક પ્રભાવશાળી મુદ્દો રહ્યો. બંને દેશોનું માનવું હતું કે અમેરિકાની ટેરિફ અને આર્થિક નીતિઓ ભારત અને ચીન બંનેને અસર કરી શકે છે.
આ પણ વાંચો : દેશમાં ટેરિફ પ્રહારથી 3 લાખ નોકરીઓ જઈ શકે છે : HR કંપનીઓની ચેતવણી, આ ક્ષેત્રોમાં ભારે પડકાર
આવી પરિસ્થિતિમાં, બંને દેશોએ વધુ નજીક આવવાની અને સંવાદ દ્વારા પડકારોનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ બેઠકમાં સરહદી મુદ્દાઓ અને સીમા વિવાદની ચર્ચા ન કરવામાં આવી, કારણ કે આ મુદ્દાઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ દ્વારા સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ ડાયલોગમાં ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત, ચીનના વિદેશ મંત્રી વાંગ યી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું હશે. આ ઘટનાક્રમ એ દર્શાવે છે કે ભારત અને વચ્ચેના સંબંધો હવે નવી દિશામાં આગળ વધી રહ્યા છે. ચીનનો આ નિર્ણય ભારતના ખેતી, ઉદ્યોગ અને માળખાગત વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સાથે, બંને દેશો વચ્ચેનો સંવાદ અને સહકાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે એક મજબૂત આધાર પૂરો પાડશે.
