Champions Trophy 2025 : ન્યુઝીલેન્ડ સામે ભારતનો 44 રનથી શાનદાર વિજય, વરુણ ચક્રવર્તીએ 5 શિકાર કર્યા
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ૨૦૨૫ની ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમની ૪૪ રનથી શાનદાર જીત થઈ છે. ટૉસ હારીને પહેલા બેટિગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાન પર ૨૪૯ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ૨૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૪૫.૩ ઓવરમાં માત્ર ૨૦૫ રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ. વરૂણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપી હતી.
જોકે, બંને ટીમો પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ મેચની વિજેતા ટીમ ભારતનો સામનો સેમિફાઈનલમાં ઓસ્ટે્રલિયા સાથે થશે. જ્યારે હારનારી ટીમ ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.
ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી ન રહી. તેણે રચિન રવીન્દ્રની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. રવીન્દ્ર (૬)ને હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ બીજા ઓપનર વિલ યંગ (૨૨) પણ વરૂણ ચક્રવર્તીના બોલ પર બોલ્ડ થઈ ગયો. તેનાથી ન્યૂઝીલેન્ડનો સ્કોર ૨ વિકેટ પર ૪૯ રન થઈ ગયો. અહીંથી ધૂરંધર બેટ્સમેન કેન વિલિયમસન અને ડેરિલ મિચેલે મળીને ત્રીજી વિકેટ માટે ૪૪ રનની પાર્ટનરશિપ કરી.
ડેરની મિચેલની ઈનિગનો અંત ચાઈનામેન કુલદીપ યાદવે કર્યો. પછી રવિન્દ્ર જાડેજાએ ટૉમ લેથમ (૧૪)ને એલબીડબ્લ્યૂએ આઉટ કરીને ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી. જ્યારે ૩૬ ઓવરમાં ૧૫૧ રન પર ન્યૂઝીલેન્ડની પાંચ વિકેટ પડી હતી.
ગ્લેન ફિલિપ્સને (૧૨) વરૂણ ચક્રવર્તીએ એલબીડબ્લ્યૂ કર્યો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ ૧૫૯ રન પર પહોંચતા જ પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી બેઠી.
માઇકલ બ્રેસવેલ ત્રણ બોલમાં બે રન બનાવીને આઉટ થયો.
ત્યારબાદ અક્ષર પટેલના બોલ પર કેન વિલિયમસન(૮૧) પણ આઉટ થઈ ગયો. ત્યારબાદ વરૂણ ચક્રવર્તીએ મેચ હેનરીને પણ આઉટ કરી દીધો. તેમની આ પાંચમી વિકેટ રહી. આ રીતે વરૂણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચમાં પાંચ વિકેટ લેનારા ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે.