ભાઈજાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો : તપાસના તાર સુરત પહોંચ્યા
બોલીવુડમાં ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાનના ઘરની બહાર થોડા દિવસો પહેલા ફાયરિંગ થયું હતું જે બાદ સલમાન ખાનની સિક્યુરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈકસવારોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની કચ્છથી ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી ત્યારે આ ઘટનામાં એક નવો ખુલાસો થયો છે.
વાત જાણે એમ છે કે સલમાન ખાનના ઘરની બહાર જે ફાયરિંગ થયું હતું તેના આરોપીઓ કચ્છમાંથી ઝડપાયા હતા ત્યારે કચ્છ બાદ આ કેસનું કનેક્શન સુરતમાંથી પણ નીકળ્યું છે. સલમાનના ઘરની બહાર જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે બંદૂક આરોપીઓએ સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો aપહોંચ્યો સુરત
ત્યારે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. તેમજ એકાઉન્ટર સ્પેશિયલિસ્ટ દયા નાયક સુરતમાં આવી પહોંચ્યા છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબુલ્યું કે અમે ફાયરીંગ કર્યા બાદ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હતી ત્યારે આજે સવારથી જ સુરતમાં મુંબઈ ક્રાઈમ બ્રાચની ટીમે ધામાં નાખ્યા છે.
ફાયરિંગ બાદ ફેસબુક પોસ્ટ થઈ હતી વાયરલ
સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતા બિશ્નોઈ ગેંગ સલમાન ખાનના ઘરે ફાયરિંગ બાદ ફરી ચર્ચામાં આવી હતી. સલમાનના ઘર પર ફાયરિંગ બાદ એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો છે.
