નિજ્જર હત્યા કેસ મામલે કેનેડા પોલીસે 3 મૂળ ભારતીય યુવકોની કરી ધરપકડ
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડિયન પોલીસે0020કથિત હિટ સ્ક્વોડના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસે આ શકમંદોની તસવીરો પણ જાહેર કરી છે. તપાસકર્તાઓનો આરોપ છે કે ભારત સરકારે આ લોકોને નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.
ગયા વર્ષે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે ઘણો તણાવ હતો. ભારતે પાછળથી ટ્રુડોના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા.
એક ન્યૂઝ ચેનલના વરિષ્ઠ સરકારી સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે નિજ્જરની હત્યાના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કરણપ્રીત સિંહ (ઉ.વ) 28, કમલપ્રીત સિંહ (ઉ.વ) 22 અને કરણ બરાડ(ઉ.વ) 22, પર નિજ્જરની હત્યામાં હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે, કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે. નિજ્જર (45 વર્ષ)ને 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. તે કેનેડાનો નાગરિક હતો.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ત્રણેય આરોપીઓ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે પણ સંપર્ક ધરાવે છે. આ તમામ 2021માં અસ્થાયી વિઝા પર કેનેડા ગયા હતા. તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે બાકીના આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
પીએમ ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો લગાવ્યો હતો આરોપ
18 જૂન, 2023ની સાંજે, સરે શહેરમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે વડા પ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો, જેને ભારતે ફગાવી દીધો હતો.આ મામલે કાર્યવાહી કરતા કેનેડાની ટ્રુડો સરકારે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આ પછી બંને દેશો વચ્ચે વિવાદ વધતો ગયો. જોકે, બાદમાં ટ્રુડોએ ઘણી વખત ભારત સાથે સંબંધો જાળવી રાખવાની વાત કરી હતી.