કોલકત્તાકાંડ : પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના કાળા કારનામા ખોલતી CBI,જુઓ શું થયા ખુલાસા
કોલકાતામાં લેડી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવ્યા બાદ આરજી મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર શંકા વધી રહી છે. હોસ્પિટલમાં નાણાંની ગેરરીતિની તપાસ કર્યા બાદ ઇડીની ટીમને સંદીપ ઘોષના એક આલીશાન ફાર્મ હાઉસની જાણકારી મળી છે. આ ફાર્મ હાઉસ દક્ષિણ 24 પરગણાના કેનિંગ વિસ્તારમાં આવેલું છે, જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. બીજી તરફ, આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ પણ તેના પર શ્રીમંત બનવાની ઈચ્છામાં ‘અન્ય આરોપીઓ સાથે ગુનાહિત સાંઠગાંઠ’નો આરોપ લગાવ્યો હતો. કરોડો રૂપિયાની લાંચ અત્યાર સુધીમાં લીધી હોવાનું પણ સીબીઆઈએ જણાવ્યું છે.
સીબીઆઈએ કયા આક્ષેપો કર્યા ?
સીબીઆઈએ કોર્ટમાં દાવો કર્યો હતો કે સંદીપ ઘોષે કાળા નાણાનો ધંધો ચલાવવા માટે આરજી હોસ્પિટલમાં તેની નજીકના લોકોને તૈનાત કર્યા હતા. સીબીઆઈએ જણાવ્યું કે સંદીપ ઘોષ કોલકાતા પહેલા મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તૈનાત હતા અને તેમણે ત્યાં બે વેન્ડરોની નિમણૂક કરીને હોસ્પિટલ માટે કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો. સીબીઆઈએ એવો પણ દાવો કર્યો હતો કે ઘોષે તેના સુરક્ષા અધિકારીની પત્નીને નોકરી પર રાખી હતી અને તેને હોસ્પિટલમાં કાફે ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
સીબીઆઈએ કોર્ટમાં કહ્યું, ‘અત્યાર સુધીની તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવા દર્શાવે છે કે ડૉ. સંદીપ ઘોષે અન્ય આરોપીઓ સાથે ગુનાહિત રીતે સાંઠગાંઠ કરીને સરકારને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે વિક્રેતા બિપ્લબ સિંહ અને સુમન હઝરા સંદીપ ઘોષના નજીકના પરિચિતો છે. સંદીપ ઘોષ બિપ્લબ સિંહને ઓળખે છે કારણ કે તે મુર્શિદાબાદમાં HOD તરીકે પોસ્ટેડ હતા અને બિપ્લબ સિંહ ત્યાં વેન્ડર તરીકે કામ કરતા હતા.
સંદીપ ઘોષ 2016 થી 2018 સુધી મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તૈનાત હતા. 2018 ના અંતમાં, તેમને કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેઓ ફેબ્રુઆરી 2021 સુધી ત્યાં રહ્યા, ત્યારબાદ તેમને આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી. સપ્ટેમ્બર 2023 માં, તેમને મુર્શિદાબાદ સંસ્થામાં પાછા મોકલવામાં આવ્યા હતા.