કેરળના ચર્ચમાં મણીપુર હિંસા પરની ડોક્યુમેન્ટરી નું પ્રસારણ
કેટલાક ચર્ચમાં હાલમાં ‘ધી કેરાલા સ્ટોરી’દર્શાવાય છે
કેરળમાં લોકસભાની ચૂંટણી પૂર્વે જ કેટલાક ચર્ચમાં થઈ રહેલા ‘ ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મના પ્રસારણના વિવાદ વચ્ચે અન્ય એક ચર્ચ દ્વારા મણીપુરની હિંસા પરની 15 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે.
તિરુવવંતપુરમ જિલ્લાના સાજોપુરમ માં સાયરો મલબાર કેથોલિક ચર્ચ દ્વારા બાઈબલના ક્લાસ દરમિયાન વિદ્યાર્થીને મણીપુર હિંસા પરની આ ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવી હતી.
ચર્ચના પાદરી નિતીન પનીવેલામેં કહ્યું કે બધા જાણે છે કે ધી કેરાલા સ્ટોરી એક એજન્ડાનો ભાગ છે અને ચર્ચમાં વિદ્યાર્થીઓ માટે તેનું પ્રસારણ અયોગ્ય હતું. તેમણે કહ્યું કે આ સંદેશો આપવા માટે અમે 15 મિનિટની મણીપુર હિંસા પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડવાનું નક્કી કર્યું છે.
એક તરફ કેટલાક ચર્ચો દ્વારા ધ કેરાલા સ્ટોરી નું પ્રસારણ કરવામાં આવ્યું તો બીજી તરફ અનેક ચર્ચ દ્વારા તેમના સંકુલમાં ઈદની ઉજવણી માટે મુસ્લિમોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પાદરીએ કહ્યું કે એક તરફ નફરત ફેલાવવામાં આવે છે ત્યારે અમે કોમી એકતા અને ધાર્મિક સંવાદિતતા નો સંદેશો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.