બોર્ડની પરીક્ષા અંતિમ તબક્કામાં: ઉત્તરવહીની ચકાસણી શરૂ
વિજ્ઞાન પ્રવાહ માટે રાજકોટ જિલ્લામાંથી 413 શિક્ષકોની પસંદગી:ધો.10 અને ધો.12 સાયન્સની 10 માર્ચએ પરીક્ષા પુરી થશે
ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા હવે પૂર્ણતાને આરે છે, સાથે સાથે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ ચૂકી છે રાજકોટ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 413 શિક્ષકોની પેપરોની ચકાસણી માટે નિમણુંક કરાઈ છે, બીજી તરફ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
ગઈકાલે ધોરણ 10 માં ગુજરાતી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી, અંગ્રેજી ભાષાની પરીક્ષા લેવાઈ હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રજા હતી જ્યારે આજે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અંગ્રેજીનું પેપર હશે. આ વર્ષે બોર્ડની પરીક્ષા 15 દિવસ વહેલી લેવામાં આવી છે
ત્યારે બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ વહેલાસર આવે તેવી સંભાવના બોર્ડના સૂત્રોએ વ્યક્ત કરી હતી. ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં ગત તારીખ 3 માર્ચના રોજથી ઉત્તરવહીની ચકાસણી શરૂ કરી દેવાય છે. પરીક્ષાની સાથે બોર્ડ દ્વારા શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર પણ વહેલા આપી દેવામાં આવ્યા હતા. રાજ્યમાં આશરે 70,000 જેટલા શિક્ષકો પેપર ચકાસણી પ્રક્રિયામાં જોડાશે. એમાં રાજકોટમાંથી 413 શિક્ષકોની વિજ્ઞાન પ્રવાહના પેપરોની ચકાસણી માટે પસંદગી કરવામાં આવી છે.
આ વર્ષે સીસીટીવી ફૂટેજની ચકાસણી બે કેન્દ્રો પર
બોર્ડની પરીક્ષા બાદ દર વર્ષે પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી નથી તેનું નિરીક્ષણ કરવા દરેક જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે દર વર્ષે ચૌધરી હાઇસ્કુલ ખાતે બનાવેલા સીસીટીવી રૂમમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા ફૂટેજ ચેક કરવામાં આવે છે. આ વર્ષે ચૌધરી હાઇસ્કુલ ઉપરાંત ધોળકિયા સ્કૂલમાં પણ સીસીટીવીના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ચકાસણી થઈ ગયા બાદ જે શંકાસ્પદ વિદ્યાર્થીઓ હશે તેમને બોલાવીને હિયરિંગ કરવામાં આવશે, ત્યારબાદ તેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલાશે.