ફરીદાબાદથી ધરપકડ કરાયેલા ડૉ.શાહીન અંગે મોટો ખુલાસો : આતંકવાદી મસૂદની બહેને સોંપી’તી ‘મહિલા વિંગ’ની કમાન
આતંકવાદી પ્રવૃત્તિ બદલ પોલીસે પકડેલી મૂળ લખનઉની અને ફરીદાબાદની અલ ફલાહ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતી ડોક્ટર શાહીના શાહિદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમદની મહિલા પાંખ માટે ભારતમાંથી યુવતીઓની ભરતી કરવાનું કામ કરતી હોવાનું ખુલ્યું છે.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીની નજીક ફરીદાબાદમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવવાના કેસમાં ઝડપાયેલી લખનઉની મહિલા ડોક્ટર શાહીના શાહિદને પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમદ (જેઈએમ)ની મહિલા પાંખની ભારતીય શાખા સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડો. શાહીના શાહિદને જેઈએમની મહિલા પાંખ જમાત ઉલ-મોમિનાતની ભારત શાખાનું કમાન્ડ સોંપાયું હતું.
આ પણ વાંચો :દિલ્હી કાર વિસ્ફોટ : આત્મઘાતી બોમ્બર ડો.ઉમર મોહમ્મદની ઓળખ કેવી રીતે થઈ? પકડાઈ જવાની બાઇક કર્યો આત્મઘાતી હુમલો
એ સંગઠનનું નેતૃત્વ પાકિસ્તાનમાં જેઈએમના સ્થાપક મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરે છે. સાદિયા અઝહરના પતિ યુસુફ અઝહર કાંડહાર હાઇજેકિંગના માસ્ટરમાઇન્ડ હતા અને તેમનું મોત 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન થયું હોવાના અહેવાલ છે. શાહીના શાહિદ લખનઉના લાલ બાગ વિસ્તારની રહેવાસી છે અને તે જેઈએમના ફરીદાબાદમાં બસ્ટ કરાયેલા આતંકી મોડ્યુલના સંબંધમાં ઝડપાઈ હતી. તેની કારમાંથી એક અસોલ્ટ રાઇફલ મળી આવી હતી. તેની કબૂલાતને આધારે જ પોલીસને મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી, 20 ટાઇમર્સ અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી.
શું છે જમાત ઉલ-મોમિનાત?
ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન જેઈએમને મોટો ફટકો પડ્યો હતો, ત્યાર બાદ સંગઠને ભારતમાં કાર્યવાહીને ફરી ઝડપી બનાવવા માટે ઓક્ટોબરમાં પોતાની પ્રથમ મહિલા પાંખ જમાત-ઉલ-મોમિનાતની જાહેરાત કરી હતી. અહેવાલો અનુસાર, આ નવી યુનિટ માટે ભરતી 8 ઓક્ટોબરે પાકિસ્તાનના બહાવલપુરમાં મરકઝ ઉસ્માન-ઓ-અલી ખાતે શરૂ થઈ હતી. મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર આ જૂથનું નેતૃત્વ કરે છે. આ જૂથ જેઈએમ કમાન્ડરોની પત્નીઓ તેમજ બહાવલપુર, કરાચી, મુઝફ્ફરાબાદ, કોટલી, હરિપુર અને માનસેહરામાં તેના કેન્દ્રોમાં અભ્યાસ કરતી આર્થિક રીતે નબળી મહિલાઓને ભરતી કરી રહ્યું છે.
