સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી
3 ફેબ્રુઆરી, 2026ના રોજ નેટફ્લિક્સ ઇવેન્ટ દરમિયાન મનોજ બાજપેયીની નવી ફિલ્મ ઘૂસખોર પંડિતની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ તેનો નાનો ટીજર પણ રિલીઝ થયો હતો, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ થોડા જ દિવસોમાં ફિલ્મના ટાઇટલને લઈને વિવાદ ઊભો થયો. બ્રાહ્મણ સમાજના કેટલાક લોકો દ્વારા આ નામને આહત કરનાર ગણાવીને નેટફ્લિક્સ અને ફિલ્મના નિર્માતાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મુંબઈના વકીલ આશુતોષ દુબેએ જણાવ્યું હતું કે પંડિત શબ્દને ભ્રષ્ટાચાર સાથે જોડવું સમાજની માનહાનિ સમાન છે અને આ ગેરજવાબદાર પગલું છે. મામલો કોર્ટ સુધી પહોંચ્યો, જ્યાં અદાલતે કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટ કર્યું કે કોઈપણ સામાજિક વર્ગને અપમાનજનક રીતે રજૂ કરી શકાય નહીં. કોર્ટએ જણાવ્યું કે ફિલ્મનું નામ બદલાયા વગર તેને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.
19 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ફિલ્મમેકર નીરજ પાંડેે કોર્ટના નિર્દેશનું પાલન કરવાની ખાતરી આપી અને ફિલ્મનું જૂનું નામ પરત ખેંચવાનો નિર્ણય કર્યો. સાથે જ ઘૂસખોર પંડિત નામથી જોડાયેલા ટ્રેલર , પોસ્ટર, ટીજર અને તમામ પ્રચાર સામગ્રી હટાવી દેવામાં આવી છે.
નીરજ પાંડેેએ હલફનામામાં જણાવ્યું કે ફિલ્મનું નવું નામ જલ્દી જાહેર કરવામાં આવશે, જે સંપૂર્ણપણે અલગ અને બિનઆપત્તિજનક હશે. સાથે જ ફિલ્મની વાર્તાને યોગ્ય રીતે રજૂ કરવામાં આવશે જેથી કોઈ ગેરસમજ ન ઊભી થાય.
