લલિત મોદીને મોટો ઝટકો : વનુઆતુના વડાપ્રધાને પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો, વાંચો શું છે સમગ્ર મામલો
ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા ગુનેગાર જાહેર કરાયેલા IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપટે સોમવારે સિટીઝનશિપ કમિશનને આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીને આપવામાં આવેલા વાનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.
વનુઆતુના વડાપ્રધાનનો આદેશ
વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપતે નાગરિકતા આયોગને આદેશ આપ્યો છે કે લલિત મોદીનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે રદ કરી દે. તેમણે કહ્યું કે મને છેલ્લા 24 કલાકમાં જાણકારી મળી કે ઈન્ટરપોલે લલિત મોદીને લઈને ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી એલર્ટ નોટિસને ન્યાયિક પુરાવાના અભાવે બે વખત ફગાવી હતી. વાનુઆતોનો પાસપોર્ટ રાખવો એક વિશેષાધિકાર છે ન કે અધિકાર. એટલા માટે અરજદારે વ્યાજબી કારણોસર જ નાગરિકતા મેળવવી જોઈએ.
લંડનમાં જમા કરાવ્યો હતો પાસપોર્ટ
ઉલ્લેખનીય છે કે લલિત મોદીને છેલ્લે 7 માર્ચના રોજ લંડનમાં આવેલા એક ભારતીય હાઈ કમિશન સમક્ષ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો. પછીથી વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી હતી કે લલિત મોદીએ તેનું પાસપોર્ટ જમા કરાવી દીધો છે.
વનુઆતુ ક્યાં આવેલું છે ?
વનુઆતુ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો નાનકડો દેશ છે. અહીંની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ, પર્યટન, માછીમારી અને વિદેશી નાણાકીય સેવાઓ પર આધારિત છે. વનુઆતુમાં રોકાણ આધારિત નાગરિકતા મળે છે, એટલે કે અહીં નાગરિકતા રોકાણ કરીને મેળવી શકાય છે. અહીં સરકાર માટે પાસપોર્ટનું વેચાણ આવકનો મુખ્ય સ્ત્રોત છે. એક અહેવાલ મુજબ, 2025 સુધીમાં, વનુઆતુનો પાસપોર્ટ 113 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં (199 દેશોમાંથી) 51મા ક્રમે છે, જે સાઉદી અરેબિયા (57), ચીન (59) અને ઇન્ડોનેશિયા (64) થી ઉપર છે. ભારત આ યાદીમાં 80મા ક્રમે છે.