NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
સોશિયલ સાયન્સના આઠમાં ધોરણના NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’ જેવા ઉલ્લેખન સાથેના પ્રકરણને લઈને સુપ્રીમ કોર્ટે ગુરુવારે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું અને કેન્દ્ર સરકાર તથા NCERTનીકડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાનીવાળી પીઠે કહ્યું કે ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતી કોઈ પણ બાબત સહન નહીં કરવામાં આવે, કેસ બંધ નહીં થાય અને જવાબદારો સામે કાર્યવાહી અનિવાર્ય છે. અદાલતે પુસ્તક પર તરત પ્રતિબંધ મૂકીને તમામ નકલો જપ્ત કરવાનો તથા ઓનલાઇન પ્રસાર પણ રોકવાનો આદેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના ‘Role of the Judiciary in Our Society’ નામના અધ્યાયમાં “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” અંગે કરાયેલા ઉલ્લેખને ગંભીર મુદ્દો ગણાવ્યો છે. અદાલતના મતે આ પ્રકારની ભાષા વિદ્યાર્થીઓના મનમાં ન્યાયપાલિકા પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. આ મુદે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં રજૂઆત કરતાં જણાવ્યું કે આ લખાણ માટે જવાબદાર બે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને કોઈ સરકારી શૈક્ષણિક સંસ્થા સાથે ભવિષ્યમાં કામ કરવાની મંજૂરી નહીં મળે. પરંતુ અદાલત તેમની આ દલીલોથી સંતુષ્ટ ન્હોતી.મુખ્ય ન્યાયાધીશે તીવ્ર શબ્દોમાં કહ્યું,“આ બહુ ગંભીર બાબત છે… ન્યાયપાલિકા આજે લોહીલુહાણ છે. કોઈને છોડવામાં નહીં આવે. કોણ જવાબદાર છે તે શોધવું જ પડશે. હેડ્સ મસ્ટ રોલ!”
અદાલતે વધુમાં કહ્યું કે આ માત્ર ભૂલ નહીં પરંતુ “ગણતરીપૂર્વકનું અને ગાઢ ષડયંત્ર” જેવું લાગે છે.તેમણે કહ્યું કે NCERT દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં “અનુચિત લખાણ અનાયાસે ઘુસી ગયું” એવું કહેવામાં આવ્યું હોવા છતાં તેમાં માફીનો સ્પષ્ટ શબ્દ જ નથી.
આ પણ વાંચો:હવે વડાપ્રધાન સમક્ષ મંત્રીઓ આપશે કામનો હિસાબ: 2 માર્ચ સુધી અહેવાલ આપવો ફરજિયાત, આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા
મુખ્ય ન્યાયાધીશે તો એ પણ જણાવ્યું કે પુસ્તક બજારમાં હજુ ઉપલબ્ધ છે અને તેમને સ્વયં તેની નકલ મળી છે. સરકારે દલીલ કરી કે લગભગ ૩૨ નકલો બજારમાં આવી હતી અને હવે પાછી ખેંચાઈ રહી છે, પરંતુ અદાલતને આ જવાબ પૂરતો લાગ્યો નહીં.
સરકાર તરફથી વધુમાં કહેવાયું કે આખો અધ્યાય સુધારાશે. પરંતુ અદાલતે સ્પષ્ટ કર્યું કે માત્ર સુધારો પૂરતો નથી,જવાબદારી નક્કી કરવી પડશે. અદાલતે સુઓ મોટો કાર્યવાહી કરવાની પણ સંકેત આપ્યો હતો.
આ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ દર્શાવે છે કે ન્યાયપાલિકાની પ્રતિષ્ઠા અંગે અદાલત કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. હવે નજર કેન્દ્ર સરકાર અને NCERT દ્વારા લેવામાં આવનારી કાર્યવાહી અને જવાબદારો સામેની કાનૂની કાર્યવાહી પર રહેશે.
સુપ્રીમ કોર્ટનો આદેશ
- ભારત અને વિદેશમાં પુસ્તક પર પ્રતિબંધ
- બધી નકલો જપ્ત કરો
- ઓનલાઈન શેરિંગ પર પૂર્ણ પ્રતિબંધ
- એક પણ નકલનું વેચાણ ન થવું જોઈએ
- જવાબદારોની ઓળખ કરીને કાર્યવાહી કરો
- કેન્દ્ર સરકાર અને NCERT અધ્યક્ષને નોટિસ
તુષાર મહેતાની દલીલોને ફગાવીને અદાલતે ઉધડો લીધો
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં કહ્યું કે સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી થશે અને તેઓ ભવિષ્યમાં UGC અથવા કોઈ મંત્રાલય સાથે કામ નહીં કરી શકે. તેમણે અદાલત સમક્ષ નિષ્કપટ માફી પણ રજૂ કરી. પરંતુ મુખ્ય ન્યાયાધીશે તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે એનો કોઈ અર્થ નથી. ગોળીબાર થઈ ગયો છે અને ન્યાયપાલિકા લોહીલુહાણ છે. અદાલતે નોંધ્યું કે NCERTના જાહેર નિવેદનમાં માફીનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. અદાલતે કહ્યું કે માત્ર શબ્દોમાં ખેદ વ્યક્ત કરવો પૂરતો નથી; જવાબદારી નક્કી કરવાની રહેશે. અદાલતનું વલણ સ્પષ્ટ હતું કે ન્યાયપાલિકા સામે અપમાનજનક લખાણ સહન નહીં થાય અને કેસ બંધ નહીં થાય.
