Ayushman card : હવે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર, આ રીતે કરો અપ્લાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ પર દેશભરમાં રૂ. 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ દિલ્હીના અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (AIIA) પહોંચ્યા હતા.આ દરમિયાન, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) નું કવરેજ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના સીનિયર સિટીઝનને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળશે.
મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક આયુષ્માન ભારત છે. જેના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારની સુવિધા મળશે. જ્યારે પહેલા આ યોજના ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે જ હતી. પરંતુ તાજેતરમાં સરકારે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પણ આ યોજના હેઠળ સામેલ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, આયુષ્માન કાર્ડ માટે અરજી કરવી જરૂરી છે. જેની માહિતી અમે તમને અહીં આપવા જઈ રહ્યા છીએ.
આ યોજના દ્વારા અત્યાર સુધીમાં 35 કરોડ લોકો આયુષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સામેલ કર્યા પછી, લાભાર્થીઓની સંખ્યા 40 કરોડની નજીક પહોંચવાનો અંદાજ છે. આ યોજના હેઠળ, કાર્ડ બનાવવાના સમય પહેલા થતા રોગોને પણ આવરી લેવામાં આવે છે. આ સાથે, બીમારી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ ટેસ્ટ, ઓપરેશન અને દવાઓનો ખર્ચ તેમાં સામેલ છે.
આ રીતે આયુષ્માન કાર્ડ માટે કરો અપ્લાય
આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડ મેળવવા માટે, પહેલા તેની સત્તાવાર વેબસાઇટ (https://beneficiary.nha.gov.in/) પર જાઓ. અરજી માટે નોંધણી કરો. આ પછી, એપ્લિકેશન પ્રક્રિયા સાથે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો અને પછી OTP વેરિફિકેશન કરો. તમામ એપ્લિકેશન પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી અંતિમ સબમિટ કરો. જે બાદ આયુષ્માન કાર્ડ તૈયાર થઈ જશે.
હવે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે. મફત સારવાર માટે કોઈ શરતો રહેશે નહીં. આવક, પેન્શન, બેંક બેલેન્સ, જમીન અથવા જુની બિમારીના આધારે કોઈપણ વૃદ્ધ વ્યક્તિને આ યોજનાના દાયરામાંથી બાકાત રાખવામાં આવશે નહીં.