બે વેપારીઓનું 60.98 લાખનું સોનું લઈ કારીગર રફુચક્કર : રાજકોટમાં સોની વેપારીઓ વારંવાર છેતરાય ને પોલીસ દોડયે રાખે !
રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો દ્વારા સોનું ઓળવી જવાના બનાવોમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોની બજારમાં રાઘવ કુંજ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા બે વેપારીનું કુલ 473.5 ગ્રામ 22 કેરેટ સોનું ( કિંમત 60,98,680) લઈને પશ્ચિમ બંગાળનો કારીગર ફરાર થઈ જતાં સોની બજારમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગેની વિગતો મુજબ,લક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતા અને સોની બજારની બોઘાણી શેરીમાં ‘રાઘવ કુંજ કોમ્પ્લેક્ષ’માં 201 નંબરની દુકાન ધરાવતા જીતેશભાઇ શાંતિલાલ રાણપરા (ઉ.વ. 45) દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,મૂળ બંગાળના વતની શેખ બાદશા નામના શખસ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી પશ્ચિમ બંગાળનો વતની શેખ બાદસા (રહે. ચંદનનગર, જી. હુગલી) નામના શખસ સાથે કમિશન પર દાગીના બનાવવાનું કામ કરતા હતા. ગત તા. 05/10/2025 ના રોજ જીતેશભાઇએ શેખ બાદસાને 235.500 ગ્રામ સોનું ‘બોર’ બનાવવા માટે આપ્યું હતું.
આરોપીએ આ કામ પાંચ દિવસમાં પૂરું કરી પરત આપવાનો વાયદો કર્યો હતો. જોકે મુદત પૂરી થવા છતાં તે દુકાને આવ્યો નહોતો જ્યારે વેપારીએ કારીગરને ફોન કર્યો ત્યારે તેણે “હું સવારે દુકાને આવી જઈશ” તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. શંકા જતાં વેપારીએ તેના ઘરે તપાસ કરી તો ત્યાં તાળું લટકતું જોવા મળ્યું હતું. આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કારીગર રાતોરાત પોતાનો સામાન પેક કરી વતન ભાગી ગયો છે.
જીતેશભાઇ આ અંગે સોની બજારમાં તપાસ કરતા સામે આવ્યું કે,શેખ બાદસા માત્ર તેમનું જ નહીં પરંતુ તેમની ઉપરની દુકાન (નં. 305) માં કામ કરતા નાજીમુદ્દીન શેખ નામના વેપારીનું પણ 238 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે. આમ આરોપી બે વેપારીઓનો વિશ્વાસ કેળવી કુલ 473.5 ગ્રામ સોનું (કિંમત રૂ. 60.98 લાખ) સેરવી ગયો હોવાનું સામે આવ્યું હતું.ઘટના અંગે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છેકે, સોની બજારમાં અગાઉ પણ પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા લાખો-કરોડોનું સોનું લઈ ફરાર થઈ જવાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. બંગાળથી આવીને અહીં વસવાટ કરતાં કેટલાક લેભાગુ તત્વો થોડાક સમય સુધી સોની વેપારીઓ સાથે કામ કરી જેવું કોઈ મોટું સોનું ઘડાવવા માટે તેઓ પાસે આવે કે તરત લઈને પલાયન થઈ જાય છે. વેપરીઓ વિશ્વાસે છેતરાયા રહે છે ને પોલીસ દોડતી રહે તેવુ થાય છે.
