અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
અમરેલી જિલ્લામાં લીલીયા તાલુકાના કણકોટ ગામે એક ખુલ્લા કૂવામાં પડી જવાથી અંદાજે બે થી અઢી વર્ષના સિંહનું મોત નિપજ્યું હતું. વનવિભાગનીટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવના પગલે વન્ય પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.
મળતી માહિતી અનુસાર,લીલીયાના કણકોટ ગામના વાડી વિસ્તારમાં સિંહ આટાફેરા કરતો હતો, અંધારામાં અથવા શિકાર પાછળ દોટ મુકતી વખતે સિંહ ખુલ્લા કૂવામાં પડ્યો હતો. કૂવામાં પાણી હોવાને કારણે ડૂબી જવાથી સિંહેનું મોત થયું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિંહના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી, પોસ્ટમોર્ટમ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
લીલીયા પંથકમાં, તાજેતરમાં જ એક માદા સિંહણનું વીજ શોક લાગવાથી મોત થયું હતું. ટૂંકા ગાળામાં કણકોટ ગામમાં સિંહના મોતની આ બીજી ઘટના છે. ઉલ્લેખનીય છે કે વાડી વિસ્તારોમાં રક્ષણાત્મક જાળી વગરના ખુલ્લા કૂવાઓ સિંહો માટે ‘ડેથ ટ્રેપ’ જેવા બની ગયા છે.
આ પણ વાંચો: અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
લીલીયા પંથકના ખેડૂતો અને વન્યજીવ પ્રેમીઓએ આક્ષેપ કરી રહ્યા છે કે વનવિભાગ દ્વારા ખુલ્લા કૂવાઓને જાળીથી ઢાંકવાની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું લાગે છે. વનવિભાગ સત્વરે તમામ ખુલ્લા કૂવાઓને જાળીથી કવર કરાવે જેથી કરીને હવે દેશ વિદેશમાં વિખ્યાત ગુજરાતના ગૌરવરૂપ ગીરના સિંહોને અકાળે મોતથી બચાવી શકાય.
