અસામાજિક તત્વોના વિરોધમાં આજે અંબાજી બંધ
શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠની વાત કરવામાં આવે તો અહીં દેશ વિદેશમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અંબાજીના સ્થાનિક લોકો પણ આ ગામમાં મોટી સંખ્યામાં ધંધો વેપાર કરે છે. છેલ્લા બે મહિનાથી અંબાજીમાં કાયદો વ્યવસ્થા બગડી છે. 29 જુલાઈના રોજ અંબાજીના જાહેર બજારમાં બનેલી ઘટનાથી સમગ્ર અંબાજીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. આવારા તત્વોના વિરોધમાં બુધવારે અંબાજી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરીને ભાગી ગયા હતા. હજુ સુધી પોલીસ દ્વારા એક પણ આરોપીને પકડવામાં આવ્યો નથી.
જાહેર બજારમાં પથ્થરમારાની ઘટનાને લઈને અંબાજીના વેપારીઓ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાની તકલીફો જણાવી હતી. અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અંબાજીની મહિલા દ્વારા પોલીસ મથકે ફોન કરતા પોલીસે જણાવેલ અસામાજિક તત્વો આવે તો ઘરમાં રહો જેને લઇને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
અંબાજી શક્તિપીઠમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા અંબાજીમાં મોબાઇલ ચોરીની ઘટનાઓ વધવા પામી છે. વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે. તાજેતરમા અંબાજી આઠ નંબર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પણ બની હતી અને પોલીસ હજુ સુધી આ ચોરીના આરોપીઓ પકડવામાં પણ નિષ્ફળ રહી હતી.
આજે માન સરોવર ખાતે ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું કે, આ તત્વો અંબાજી આસપાસ રહે છે અને બજારોમાં ઓવર સ્પીડમાં બાઈકો ચલાવે છે. ત્રણ સવારીમા બાઇકો ચલાવે છે જે લોકો ગાડીના કાગળો પણ પૂરતા રાખતા નથી. દુકાનોમાંથી વસ્તુ ઝૂંટવીને ભાગી જાય છે. અંબાજી માનસરોવર ખાતે આજે મળેલી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, 31 જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજીના તમામ વેપારીઓ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્વોના વધતા બનાવોથી સમગ્ર અંબાજી ધામ બંધ રહેશે.