પાકિસ્તાનનો હવાઈમાર્ગ બંધ થતાં એર ઇન્ડિયાને અબજોનું નુકસાન
ભારતના વીમાનો માટે પાકિસ્તાને પોતાનો હવાઈ માર્ગ બંધ કરતા ભારતની અનેક એરલાઇન્સ કંપનીઓને મોટું નુકસાન થવાનો ભય છે. જો આ પ્રતિબંધ ચાલુ રહે તો એક વર્ષમાં એર ઇન્ડિયા ને 591 મિલિયન ડોલરનો એટલે કે અંદાજે 4900 કરોડ રૂપિયાનો વધારાનો જંગી બોજો આવી પડશે તેવો અંદાજ છે. આ સંજોગોમાં વિવિધ એરલાઇન્સ દ્વારા સરકારને સબસીડી આપવા માટે વિનંતી કરવામાં આવી છે.
પાકિસ્તાનના હવાઈમાર્ગ પ્રતિબંધને કારણે અનેક વિમાનોના ઉડયન સમયમાં વધારો થવાને કારણે ઇંધણ ખર્ચમાં પણ જંગી વધારો થઈ રહ્યો છે.
ઈન્ડિગોની નવી દિલ્હી-બાકુ (અઝરબૈજાન) ફ્લાઈટે ગુરુવારે સામાન્ય કરતાં 38 મિનિટ વધારે,પાંચ કલાક અને 43 મિનિટનો સમય લીધો હતો.
હવાઈ માર્ગ પ્રતિબંધને કારણે ટાટા અને ઇન્ડિગો જેવી એરલાઇન્સ કંપનીઓ ઉપર પણ ભારે બોજો આવી પડ્યો છે. જો કે, એર ઈન્ડિયા પર અસર વધુ હોવાની સંભાવના છે કારણ કે તે વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ઉડાનો સંચાલિત કરે છે. ખાસ કરીને પાકિસ્તાનના હવાઈ માર્ગનો ઉપયોગ કરી અને મધ્ય પૂર્વ પહોંચતી ફ્લાઈટ્સ નો ઉડાન સમય ઓછામાં ઓછો એક કલાક વધી ગયો છે અને પરિણામે ઈંધણ ખર્ચમાં 30% થી વધારે ખર્ચ થવા લાગ્યો છે.નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં નવી દિલ્હીથી યુરોપ, મધ્ય પૂર્વ અને ઉત્તર અમેરિકાના ગંતવ્યો માટે એર ઈન્ડિયા અને તેની બજેટ સેવા એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોની 1,200 ઉડાનો રવાના થઈ હતી.