અગ્નિવીર અજયના પરિવારને રૂ. 98 લાખ ચૂકવાયા હતા: આર્મીનો ખુલાસો
ફરજ દરમ્યાન માર્યા ગયેલા અગ્નિવીરને વળતર ન મળતું હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો
અગ્નિવીરોને શહીદનો દરજ નથી મળતો અને ફરજ દરમિયાન મૃત્યુ પામે તો વળતર પણ નથી મળતું એવા રાહુલ ગાંધીના આક્ષેપને સેનાએ રદિયો આપતા જણાવ્યું હતું કે ફરજ દરમિયાન મૃત્યુ પામનાર અગ્નિવીર અજય કુમારના પરિવારને 98.39 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. એ ઉપરાંત પણ એ પરિવારને અન્ય જોગવાઈઓ હેઠળ હજુ વધુ ૬૭ લાખની રકમ પણ આપવામાં આવશે તેવો ખુલાસો આર્મી એ સત્તાવાર રીતે કર્યો હતો.
રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા આક્ષેપ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચાલુ ચર્ચા દરમિયાન ઊભા થઈને જણાવ્યું હતું કે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા અગ્નિવીર અજય કુમારના પરિવારને એક કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તેમણે આવા સંવેદનશીલ મુદ્દે લોકોને ગુમરાહ ન કરવા માટે પણ રાહુલ ગાંધીને જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ જોકે તે સમયે પણ પોતે કાંઈ પણ ખોટું ન બોલ્યા હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
બાદમાં બીજે દિવસે ફરી એક વખત તેમણે પોતે કરેલા આક્ષેપો સાચા હોવાનો દાવો દોરાવ્યો હતો અને તેના પુરાવા રૂપે અગ્નિવીર અજય કુમારના પિતાનો તાજો વિડીયો જારી કર્યો હતો. તેની બે કલાક બાદ આર્મી એ X પર ટ્વીટ કરીને 98.39 લાખ રૂપિયા ચૂકવાયા હોવાનો ખુલાસો કર્યો હતો.
વિવાદ વધ્યો.અગ્નિવરના પિતા કહે છે,”અમને વળતર નથી મળ્યું”
રાહુલે કહ્યું કે સત્યનું રક્ષણ કરવું એ કોઈ પણ ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે પણ રાજનાથ સિંહ સંસદમાં પણ જૂઠું બોલ્યા હતા. આટલું કહ્યા પછી તેમણે અગ્નિવીર અજય કુમારના પિતાનો વિડિયો જાહેર કર્યો હતો જેમાં તેઓ કહે છે કે તેમને કોઈ વળતર મળ્યું નથી કે નથી વળતર આપવા અંગે કોઈ સંદેશો મળ્યો. તેમણે કહ્યું કે અગ્નિવીરોના પરિવારોને જરૂરી મદદ મળવી જોઈએ તેવી અમારી માંગણીને રાહુલ ગાંધીએ સંસદમાં વાચા આપી છે. તેમણે વિશેષમાં કહ્યું કે અગ્નિવીર ની ભરતી બંધ થવી જોઈએ અને કાયમી નિમણૂકની પદ્ધતિનું પુનઃસ્થાપન થવું જોઈએ. આ અગાઉ રાહુલ ગાંધી એ પરિવારના સભ્યોને મળ્યા ત્યારે પરિવારજનોએ પંજાબ સરકાર તરફથી મદદ મળી હોવાનું કહ્યું હતું અને સાથે જ કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ ન મળી હોવાની ફરિયાદ કરી હતી.એક તરફ રાજનાથ સિંહ અને હવે સેનાએ પણ એક કરોડ રૂપિયા ચૂકવાયાનો ખુલાસો કર્યો છે અને બીજી તરફ અગ્નિવીરના પરિવારજનો કાંઈ ન મળ્યો હોવાની ફરિયાદ કરે છે ત્યારે આ વિવાદ વધવાની સંભાવના છે.