સ્વર્ગ હાઉસફૂલ થઈ જશે…: મહાકુંભ સ્નાન પર અફઝલ અંસારીનું વિવાદીત નિવેદન
પવિત્ર સ્નાન કરવાથી બધાના પાપ ધોવાઈ જશે અને વૈકુઠના દ્વાર ખુલી જશે
મહાકુંભમાં પવિત્ર સ્નાનને લઈને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ આપેલા એક નિવેદનને લીધે વિવાદ ઉભો થયો છે. શાદિયાબાદમાં સંત રવિદાસ જયંતી કાર્યક્રમમાં બોલતાં સાંસદ અફઝલ અંસારીએ કહ્યું કે માન્યતા છે સંગમ તટ પર નહાઈને વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે, પાપ ધોવાઈ જશે, અર્થાત આગળ વૈકુંઠમાં જવાનો રસ્તો ખુલી જશે, તેથી જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તેનાથી લાગે છે કે હવે નર્કમા કોઈ નહીં બચે તો સ્વર્ગ હાઉસફુલ થઈ જશે.

તેમણે રવિદાસ જયંતી કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, ‘મહાકુંભમાં સ્નાન કરવાની હોડ મચી છે. એવું લાગે છે કે, દરેક સ્વર્ગમાં જશે, જેના કારણે હાઉસફુલ થઈ જશે અને નરક સંપૂર્ણ ખાલી રહેશે.’ તેમણે કહ્યું કે, મહાકુંભના કારણે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. યુવાઓ ટ્રેનોના કાચ તોડી રહ્યા છે, પોલીસ અસાહય જોવા મળી રહી છે. અંસારીએ મૌની અમાવસ્યાએ થયેલી નાસભાગનો ઉલ્લેખ કરી કહ્યું કે, લોકો કચડાઈને મરી રહ્યા છે.
પૂર્વાંચલના બાહુબલી નેતા મુખ્તાર અંસારીના મોટા ભાઈ સાંસદ અફઝલ અંસારીએ બે મહિના પહેલા આવું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘મહાકુંભમાં ગાંજાની આખી માલગાડી ખપાઈ જશે. સાધુ-સંતો માત્ર ગાંજો પીવે છે.’ આ નિવેદન બાદ તેમના વિરુદ્ધ ગાજીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. હવે તેમણે ફરી મહાકુંભ અને શ્રદ્ધાળુઓ પર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.