કોંગ્રેસમાં જોડાયા પછી પપ્પુ યાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવી
રાજદ અને કોંગ્રેસનું ગઠબંધન ઘોંચમાં : પપ્પુ યાદવને ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેવા પક્ષ પ્રમુખની સુચના
લોકસભા ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં જ કોંગ્રેસમાં આવેલા બાહુબલી નેતા પપ્પુ યાદવે પૂર્ણિયા સીટ પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ સીટ મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળ ના ક્વોટામાં છે. RJDની બીમા ભારતી આ બેઠક પરથી વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર છે. આવી સ્થિતિમાં ગઠબંધનમાં ડખ્ખો થયો છે અને કોંગ્રેસે એવી જાહેરાત કરવી પડી છે કે, પપ્પુ યાદવ કોંગ્રેસમાં છે અને તેને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની મંજુરી આપી ન શકાય.
બિહાર કોંગ્રેસે પપ્પુ યાદવને અલ્ટીમેટમ આપીને અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પાછું ખેંચી લેવા જણાવ્યું છે. બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું છે કે, કોઈએ પણ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ આ બધી બાબતો કોઈને મંજૂરી આપતું નથી. બિહાર કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, એવા લોકો વધુ છે જેમને ટિકિટ નથી મળી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આવી બાબતોને સ્વીકારતી નથી. બિહાર કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઉમેદવારી પાછી ખેંચવા માટે હજુ સમય બાકી છે. પપ્પુ યાદવે પોતાનું નામાંકન પાછું ખેંચી લેવું જોઈએ.
RJD ઉમેદવાર બીમા ભારતીએ 3 એપ્રિલે પૂર્ણિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. બીમા ભારતીના નોમિનેશનના બીજા જ દિવસે પપ્પુ યાદવે અપક્ષ તરીકે નોમિનેશન ભર્યું. પપ્પુ યાદવે કોંગ્રેસને ઉત્સાહિત કરતા દાવો કર્યો કે, તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આશીર્વાદથી જ નામાંકન કર્યું છે. કોંગ્રેસમાં પોતાની પાર્ટીના વિલયની જાહેરાત કરતી વખતે પપ્પુ યાદવે કહ્યું હતું કે, તેઓ મહાગઠબંધનની ટિકિટ પર પૂર્ણિયા સીટથી ચૂંટણી લડશે.