અમદાવાદના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત: ૩ના મોત
અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઈ રહ્યો હતો પરિવાર: ૫ સભ્યો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા
રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદથી હરિદ્વાર જતી કારને અકસ્માત નડ્યો હતો. જેમાં ૩ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ૫ને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત થયો હતો. અમદાવાદથી એક પરિવાર કારમાં હરિદ્વાર જઈ રહ્યો હતો. ગમખ્વાર અકસ્માત વિશે બાંદીકૂઈ પોલીસે જણાવ્યું હતું કે, અમદાવાદથી એક પરિવાર અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઈ રહ્યો હતો. જેમાં રાજસ્થાનના દૌસા જિલ્લાના બાંદીકૂઈ નજીક કારની એક રખડતાં ઢોર સાથે ટક્કર થઈ હતી. જે બાદ કારમાં સવાર લોકો કારની નીચે ઉતર્યા હતા.
આ સમયે પાછળથી આવી રહેલા એક ટ્રકે પરિવારના સભ્યોને અડફેટે લીધા હતા. કારમાં સવાર ૮ લોકોમાંથી હસમુખ કાંતીલાલ મકવાણા (ઉ.વ.૩૨), સીમા હસમુખ અને કાકા મોહનલલાના ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે દુર્ઘટનામાં નીલમ (ઉ.વ.૨૬), નીતા (ઉ.વ.૩૨), ડ્રાઈવર દિનેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે સંબંધી કિરીટભાઈ અને ૨ અને ૩ વર્ષના બાળકને ઇજાઓ પહોંચી હતી.