દર્શન કરીને પરિવાર ઘરે પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં કાળનો ભેટો
ઉત્તરપ્રદેશના વારાણસીમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના 8 લોકોના મોતથી સન્નાટો પ્રસરી ગયો હતો . ફક્ત એક ત્રણ વર્ષનું બાળક જ ગંભીર રીતે ઘાયલ થયું હતું જેનો જીવ બચી ગયો છે. હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે. કમનસીબ પરિવાર મંદિરોમાં દર્શન પૂજા કરીને ઘરે પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં કાળ ભેટી જતાં ગમખ્વાર દૂરઘટના સર્જાઇ હતી.
આ માર્ગ અકસ્માત ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિયાવમાં તે સમયે સર્જાયો હતો જ્યારે એક પૂરપાટ ઝડપે દોડતી કાર ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તમામ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. સાથે જ તેમના અન્ય પરિજનોને જાણ કરવામાં આવી હતી. તમામ પીડિતો પીલિભીતના રહેવાશી હતા. આ લોકો કાશી વિશ્વનાથ દર્શન કર્યા બાદ વારાણસીથી જોનપુર જઈ રહ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં થયેલા આ ભીષણ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ દિવંગત આત્માની શાંતિની કામના કરતાં તેમના પરિજનો અંગે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી યોગીએ ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખેસડીને જિલ્લા તંત્રના અધિકારીઓને તમામ જરૂરી સારવારના નિર્દેશ આપ્યા હતા.