બોઈંગ વિમાનના 6 હજાર અકસ્માતો અને 9 હજારથી વધુના મોત
દુનિયાભરમાં અત્યાર સુધીમાં આ રીતે આ વિમાને અનેક જિંદગીઓ છીનવી લીધી છે; નાની-મોટી ખામીઓ નીકળે જ છે
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ક્રેશ થઈ જતાં અનેક વિમાનમાં સવાર લોકો માર્યા ગયા છે.. ક્રેશ થનાર વિમાન બોઇંગ કંપનીનું ‘ડ્રીમલાઈનર 787’ હતું. આ કંઈ પહેલો કિસ્સો નથી જ્યારે બોઇંગ વિમાન ક્રેશ થયું હોય. આ અગાઉ પણ બોઇંગ વિમાનો ઘણી વખત ક્રેશ થયા છે, જેને લીધે આ વિમાનની સલામતી બાબતે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
અમદાવાદ બોઈંગ અકસ્માત પહેલાના આંકડા જોઈએ તો આજ સુધીમાં બોઇંગ વિમાનોને વિશ્વભરમાં લગભગ 6,000 અકસ્માત નડ્યા છે. અલબત્ત, તમામ અકસ્માતમાં લોકોએ જીવ નહોતા ગુમાવ્યા, પણ જીવલેણ નીવડી શકે એવી નાનીમોટી ટેકનિકલ ક્ષતિઓ સર્જાતાં બોઈંગ વિમાનોની સલામતી બાબતે પ્રશ્નો ઉઠતાં રહ્યા છે.
બોઈંગને નડેલા અકસ્માતો પૈકીના 415 જીવલેણ નીવડ્યા છે જેમાં 9,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વભરમાં ઉડતા હજારો પેસેન્જર વિમાનોમાંથી ઓછામાં ઓછા 4000 વિમાન બોઇંગ 737 છે.
અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ બોઇંગ 737 મેક્સ વિમાનો પણ ક્રેશ થઈ રહ્યા હોવાથી તેની તપાસ કરવામાં આવી ત્યારે ‘મેન્યુવરિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓગમેન્ટેશન સિસ્ટમ સંબંધિત સમસ્યા બહાર આવી હતી. આ સિસ્ટમના ઉપયોગથી મેન્યુઅલ લેન્ડિંગ પરની નિર્ભરતા ઓછી થઈ ગઈ હતી, પણ પાયલટ્સને તેના વિશે વધુ માહિતી આપવામાં આવી ન હતી. 2018 ના ઈન્ડોનેશિયાના અને 2019 ના બોઇંગ 737 વિમાન અકસ્માત બાદ આ શ્રેણીના વિમાનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. એ પછી તેને અપડેટ કરીને બોઇંગ 737-800 ના નામથી કાર્યરત કરવામાં આવ્યું હતું.