પાકિસ્તાન સાથેના ઘર્ષણ બાદ બંધ કરી દેવાયેલા 32 એરપોર્ટ ફરી ધમધમતા થયા
પાકિસ્તાન સાથે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયા બાદ બંધ કરવામાં આવેલ 32 એરપોર્ટ સોમવારથી ફરી એક વખત હવાઈ સેવા માટે ખુલ્લા કરી દેવાયા હતા અને પરિણામે મોટાભાગના એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન સેવા ધમધમતી થઇ ગઈ હતી.
ગયા સપ્તાહે પાકિસ્તાન સાથે તણાવમાં વધારો થયા બાદ તા.15 મે ની સવારે 5:29 વાગ્યા સુધી ભારતના 32 એરપોર્ટ બંધ રાખવાનો આદેશ કરાયો હતો અને તમામ ઉડ્ડયન સેવાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી હતી.
તેમાં મોટાભાગના વિમાન મથકો ભારત પાકિસ્તાન સરહદ ની નજીકના તેમજ ભારતના એર બેઝ નજીક આવેલા હતા. ઉત્તર અને પશ્ચિમ ભારતના આ 32 એરપોર્ટ બંધ થવાને કારણે દરરોજ સરેરાશ 300 થી વધારે ફ્લાઇટો રદ થઈ હતી.અચાનક જ ઊભા થયેલા આ સંજોગોને કારણે વિમાન સેવા ખોરવાઈ જતા હજારો મુસાફરોને ભારે હાલાકી પહોંચી હતી. જો કે બન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થઈ જતાં હવે એ બધા એરપોર્ટ ફરી એક વખત કાર્યરત થઈ ગયા છે.
રાજકોટ સહિત આટલા શહેરોના વિમાન મથકો બંધ કરી દેવાયા હતા
પશ્ચિમ અને ઉતર ભારતમાં બે તબક્કે કુલ 32 એરપોર્ટ બંધ કરી દેવાયા હતા. તેમાશ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, ચંદીગઢ, અંબાલા, લુધિયાણા, જોધપુર, બિકાનેર, જેસલમેર, ઉત્તરલાઈ, રાજકોટ, ભુજ, જામનગર, ધર્મશાળા, બઠિંડા, પટિયાલા, પઠાણકોટ, શિમલા, કિશનગઢ, હિંડન, પોરબંદર, મુંદ્રા અને કંડલા વગેરેનો સમાવેશ થાય છે. થોડા અપવાદ સિવાય, આ એરપોર્ટનો મોટાભાગનો હિસ્સો સંરક્ષણ એરફિલ્ડ પર આવેલો છે, જેમાંથી કેટલાક પર દિવસમાં માત્ર થોડી જ વ્યાપારી ઉડાનો થાય છે.