ખેડાના વડાલા ગામે પાણીનો હોજ ફાટતાં 3 બાળકીના મોત
એક જ પરિવારના મોતથી પરિવારમાં છવાયો માતમ
ખેડા નજીક આવેલા વડાલા ગામે કરુણાંતિકા સર્જાઇ હતી. વડાલા ગામે ખેતરમાં બનાવેલો પાણીનો હોજ ફાટતાં નજીકમાં રમી રહેલી ત્રણ બાળકીઓના મોત થયા હતા. એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોતના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ખેડામાં બનેલા કરૂણ બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે ખેડા તાલુકાના વડાલા ગામે દરબાર ફળિયામાં સૂર્યજીતસિંહ પરમાર રહે છે. તેમના પિતાનું ખેતર ગામની સીમમાં જ આવેલું છે. જ્યાં સૂર્યજીતસિંહ પરિવાર સાથે આવ્યા હતા. તેમની પુત્રી પરમેશ્વરીબા (ઉ.વ.7), ભત્રીજી મહેશ્વરીબા (ઉ.વ.9) અને આરાધ્યાબા (ઉ.વ.4) ખેતરમાં આવેલા બોરના હોજ નજીક રમતા હતા. તે દરમિયાન અચાનક જ પાણી ભરેલા હોજની દીવાલ તૂટી હતી.
હોજની નજીક રમી રહેલી ત્રણેય દીકરીઓ પાણી સાથે દીવાલના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જેના કારણે ત્રણેય દીકરીઓનું મોત થયું હતું. આ અંગે સૂર્યજીતસિંહ પરમારે ખેડા ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસ આકસ્મિક મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.