26/11 Mumbai Attack : મુંબઈ હુમલાની એક એક ક્ષણ લોકોને યાદ છે, ખૂની ખેલથી ધ્રુજી ઉઠી હતી દેશની આર્થિક રાજધાની
CST, ઓબેરોય , તાજ, લીયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એમ આઠ સ્થળે આતંકીઓ ત્રાટક્યા હતા
આજે મંગળવાર અને ૨૬ નવેમ્બર-૨૦૨૪નો દિવસ છે પરંતુ ૨૬ નવેમ્બર-૨૦૦૮નો એ દિવસ મુંબઈ શહેર જ નહી પણ ભારત ક્યારેય ભૂલી નહી શકે. આ તે દિવસ હતો જ્યારે ભારત તેની ધરતી પર સૌથી ખતરનાક આતંકવાદી હુમલાથી હચમચી ગયું હતું. આ દિવસને યાદ કરીને આજે પણ દેશવાસીઓ કંપી ઉઠે છે.
લશ્કર તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ અને ગોળીઓથી આતંક મચાવ્યો હતો. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), તાજમહેલ પેલેસ હોટેલ, હોટેલ ટ્રાઇડેન્ટ, નરીમાન હાઉસ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ અને તે ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.આજે આટલા વરસો પછી પણ લોકોને આ હુમલાની અને પોલીસની બહાદુરીની એક એક ક્ષણ યાદ છે.

સ્વતંત્ર ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. આ હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ દેશની સૌથી સુરક્ષિત જગ્યા તાજમહેલ હોટલને નિશાન બનાવીને આપણી સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું હતું.

NSG કમાન્ડો અને મુંબઈ પોલીસે સાથે મળીને આ હુમલાનો સામનો કર્યો અને 9 આતંકવાદીઓ માર્યા ગયા. અજમલ કસાબ નામના આતંકીને જીવતો પકડવામાં આવ્યો હતો અને કોર્ટે તેને મોતની સજા ફટકારી હતી. હુમલાની ચોથી વર્ષગાંઠના પાંચ દિવસ પહેલા 21 નવેમ્બર 2012ના રોજ કસાબને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલા બાદ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને ગૃહમંત્રી શિવરાજ પાટીલ સહિત અનેક રાજકારણીઓએ રાજીનામું આપી દીધું હતું.

26 નવેમ્બર 2008ની રાત્રે પાકિસ્તાનના કરાચીથી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ કોલાબાના દરિયા કિનારેથી બોટ મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા. ભારતીય નૌકાદળને ફસાવવા માટે, આતંકવાદીઓએ રસ્તામાં એક ભારતીય બોટને હાઇજેક કરી હતી અને તેમાં સવાર તમામ લોકોની હત્યા કરી હતી. આતંકવાદીઓ સંપૂર્ણ હથિયારોથી સજ્જ હતા અને એવો વેશ ધારણ કર્યો હતો કે કોઈ તેમને ઓળખી ન શકે.

જો કે કોલાબાના કેટલાક સ્થાનિક લોકોને તેના પર શંકા ગઈ અને પછી તેઓએ પોલીસને જાણ કરી, પરંતુ પોલીસે તેને હળવાશથી લીધી હતી. આના થોડા સમય બાદ શહેરમાંથી દરેક ન્યૂઝ ચેનલ પર હુમલાના અહેવાલો આવવા લાગ્યા. શરૂઆતમાં તેને ગેંગ વોર તરીકે જાણ કરવામાં આવી હતી પરંતુ ટૂંક સમયમાં તે સ્પષ્ટ થઈ ગયું કે તે આતંકવાદી હુમલો હતો.

મુંબઈમાં ઘૂસ્યા બાદ તમામ આતંકવાદીઓ 2-2ના જૂથમાં વહેંચાઈ ગયા હતા. તેમાંથી 2 ટ્રાઇડેન્ટમાં પ્રવેશ્યા હતા , બે તાજમાં અને 4 નરીમાન હાઉસમાં પ્રવેશ્યા હતા. કસાબ અને તેના સાથીઓએ સીએસટીને નિશાન બનાવીને ત્યાં ગોળીબાર શરૂ કર્યો હતો. આ સ્થળે ઓછામાં ઓછા 58 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

કસાબ અને ઈસ્માઈલ ખાને પછી કામા હોસ્પિટલને નિશાન બનાવી હતી. રસ્તામાં તે અશોક કામટે, વિજય સાલસ્કર અને મુંબઈ (ATS)ના વડા હેમંત કરકરે સહિત 6 પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હેમંત કરકરેએ પણ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ બંને આતંકીઓ પોલીસની જીપ લઈને ભાગી ગયા હતા. ક્રોસફાયરમાં કમા ખાન માર્યો ગયો હતો અને અજમલ કસાબને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સમયે ફરજ રહેલા તુકારામ ઓમ્બલેનું મૃત્યુ થયું હતુ.

NSG કમાન્ડોએ હુમલાને ખતમ કરીને હોટેલ તાજની કરી હતી રક્ષા
હોટેલ તાજ, ઓબેરોય ટ્રાઇડેન્ટ અને નરીમાન હાઉસને લેના કર્મચારીઓ અને NSG કમાન્ડોએ કોર્ડન કરી લીધા હતા. ત્યારબાદ ઓપરેશન બ્લેક ટોર્નેડો શરૂ કરવામાં આવ્યું હતું. એનએસજી કમાન્ડોએ તમામ આતંકીઓને ઠાર કર્યા હતા. 28 નવેમ્બરે NSG કમાન્ડોએ ટ્રાઈડેન્ટ અને નરીમન હાઉસનું ઓપરેશન પૂરું કર્યું હતું. 29 નવેમ્બરના રોજ, NSG કમાન્ડોએ હુમલાને ખતમ કરીને હોટેલ તાજની રક્ષા કરી અને તેમની બહાદુરીના કારણે દેશ પર જે સંકટ આવ્યું હતું તે ખતમ થયું હતું.
