દક્ષિણ કોરિયાની વિનાશક આગમાં 24ના મોત : 1300 વર્ષ જૂના બૌધ્ધ મઠ સહિત 200 ઇમારતો બળીને ખાખ
અમેરિકાના કેલિફોર્નિયામાં વિનાશ સર્જ્યા બાદ દક્ષિણ કોરિયાના 20 જંગલોમાં છેલ્લા 6 દિવસથી લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને અનેક લોકો દાઝી ગયા છે. 1300 વર્ષ જૂના બૌધ્ધ મઠ સહિત 200 ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે . આગ બુઝાવવા માટે 130 હેલિકોપ્ટરો કામે લાગેલા છે . ભારે પવનને લીધે આગ વિકરાળ બની હતી અને રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. 4 હજાર ફાયર ફાઇટર્સ પણ સંઘર્ષ કરી રહ્યા છે . રહેણાંક વિસ્તારો સુધી આગ પહોંચી જતાં ભારે તબાહી મચી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 18 મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં 200 થી વધુ ઇમારતો રાખ થઈ ગઈ હતી. જ્યારે 27 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. આ આગને દ.કોરિયાના ઈતિહાસમાં જંગલમાં લાગેલી સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે.
દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ હાન ડક-સૂએ કહ્યું છે કે આ આગ ગયા શુક્રવારે લાગી હતી અને તે પહેલા કરતા વધુ ખતરનાક બની ગઇ છે. હાને કહ્યું, “નુકસાન વધી રહ્યું છે. આટલી મોટી આગ પહેલા ક્યારેય જોવા મળી નથી. આ અઠવાડિયે અમારે અમારી તમામ ક્ષમતા સાથે આગને ઓલવવાનો પ્રયાસ કરવો પડશે.”
હાને કહ્યું કે ક્રૂ રાતોરાત તીવ્ર પવનને કારણે જંગલની આગને ઓલવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. બુધવારે લગભગ 4,650 ફાયર ફાઈટર્સ, સૈનિકો અને અન્ય કર્મચારીઓ લગભગ 130 હેલિકોપ્ટરની મદદથી જંગલમાં લાગેલી આગને ઓલવવાનું કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ગુરુવારે થોડી રાહતની અપેક્ષા રખાઇ રહી છે .