નરેન્દ્ર મોદીના શાસનનાં ૨૩ વર્ષ : આજથી ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’
આજે ૧૨-૩૯ વાગ્યે મુખ્યમંત્રી, મંત્રીઓ અને અધિકારીઓ વિકસિત ભારતમાં યોગદાનની પ્રતિજ્ઞા લેશે
તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ૧૩ જેટલા વિશિષ્ઠ કાર્યક્રમોની જાહેરાત
ગુજરાત અને ભારતના વિકાસમાં નરેન્દ્ર મોદીના ફાળા વિશે પ્રજાને માહિતગાર કરાશે
નરેન્દ્રભાઈ મોદી સક્રિય રાજકારણમાં આવ્યા એટલે કે સત્તા ઉપર આવ્યા તેને ૨૩ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે આ સીમાચિન્હની ઉજવણી ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ સુધી થશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકારોને કહ્યું હતું કે, ૨૦૦૧માં ૭ ઓક્ટોબરે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા દર વર્ષે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આ વૈશ્વિક અને બહુમુખી વિકાસ માટે આપેલા યોગદાનનો ઋણસ્વીકાર કર્યો હતો.
આ વિકાસ સપ્તાહ અંગે ઋષિકેશ પટેલે કહ્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે તેમાં જે-તે સ્થળના સ્થાનિક કલાકારોની પ્રસ્તુતિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્રભાઈ મોદીની સુશાસન પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે.
આરોગ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, સુરત ડાયમન્ડ બુર્સ, નડાબેટ, પાવાગઢ, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, સ્મૃતિવન, અંબાજી, દ્વારકા સુદર્શન બ્રિજ અને પાલ દઢવાવના આદિવાસી શહીદ સ્મારક સહિતના સ્થળોઓએ આવી વિકાસ પદયાત્રા યોજાશે.
રાજ્યના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવલો પર વૉલ પેઈન્ટિંગથી ૨૩ વર્ષની વિવિધ ક્ષેત્રોની વિકાસયાત્રાની ઝાંખી પ્રસ્તુત કરાશે. આ ઉપરાંત રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ પણ કરવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર રાજયમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે.
આ લક્ષ્યાંક સિદ્ધિથી રાજ્યની વિકાસગાથાને વધુ ઉન્નત બનાવવા આગામી સમયમાં દર વર્ષે સુનિયોજિત રીતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.