વિરોધ રેલીનું નેતૃત્વ કરતી 17 વર્ષની યુવતી પર હુમલો: હોસ્પિટલે ખસેડાઈ
પશ્ચિમ બંગાળમાં વિરોધ દબાવવા અસામાજિક તત્વો મેદાનમાં
નશાખોરો એ બે સ્થળોએ રેલીમાં આતંક મચાવ્યો
કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ચાલતું જન આંદોલન પાંચમા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે હવે એ વિરોધને કચડવા માટે અસામાજિક તત્વો મેદાનમાં ઊતર્યા હોય તેમ એક જ દિવસમાં બે સ્થળે વિરોધ રેલીઓ પર હુમલાની ઘટનાઓ બની હતી
પ્રાપ્ત વિગત મુજબ કાંચરપરા શહેરમાં પાંચથી છ જેટલા નશાખોર શખ્સોએ રેલી પર હુમલો કરતા દસમા ધોરણમાં ભણતી 17 વર્ષની એક યુવતીને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી.
યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર એ યુવતીના નેતૃત્વ હેઠળ ‘ રિકલેમ ધ નાઈટ ‘ રેલી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી ત્યારે છ જેટલા દારૂડીયાઓએ રેલીને આંતરી હતી. એ શખ્સોએ યુવતીનું માઇક્રોફોન ચૂંટણી લીધા બાદ માર મારતા હાથમાં ફ્રેક્ચર થયું હતું અને તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે ફરિયાદ કર્યા છતાં પોલીસે કોઈની ધરપકડ ન કર્યો હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.
એવી જ બીજી એક ઘટના બારસાત નગરમાં બની હતી. રેલી પૂર્ણ કર્યા બાદ મહિલાઓ પરત ફરી રહી હતી ત્યારે એક નશાખોર શખ્સે મહિલાઓ સામે અભદ્ર ટિપ્પણી અને વર્તન કરતા મામલો ગરમાયો હતો. એ દરમિયાન સ્થાનિક લોકો મહિલાઓની મદદે આવતા ઝપાઝપી થઈ હતી. લોકોએ એ દારૂડિયાને સારી પેઠે લમધાર્યા બાદ પોલીસને સોંપી દેતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે મહિલા તબીબ પર થયેલા અત્યાચાર બાદ પશ્ચિમ બંગાળમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમાન જનઆંદોલન આકાર પામ્યું છે. સમગ્ર પશ્ચિમ બંગાળમાં મહિલાઓના નેતૃત્વ હેઠળ દરરોજ જંગી રેલીઓ નીકળે છે અને મમતા બેનરજી સામે તેમની કાર્યકર્દીનો સૌથી મોટો પડકાર સર્જાયો છે.
સંદીપ ઘોષના રહેઠાણ ઉપર દરોડા: સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝાટકો
સીબીઆઇએ આરજી કર હોસ્પિટલનાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કર્યા બાદ ઇડીએ પણ મનીલોન્ડરિંગ નો ગુનો નોંધી શુક્રવારે સવારે ઘોષ અને તેમના સબંધીઓના કોલકાતા, હાવડા તથા હુગલી ખાતેના નિવાસ્થાનો પર એક સાથે દરોડા પાડ્યા હતા. બીજી તરફ ભ્રષ્ટાચાર અંગે નો કેસ cbi ને સોંપવાના હાઇકોર્ટના આદેશને પડકારતી સંદીપ ઘોષની અરજી પણ સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જેડી પારવડીવાલા તેમજ જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે કોઈ આરોપી તપાસ કોણ કરે એ નક્કી ન કરી શકે. અદાલતે સીબીઆઈને પણ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિલા તબીબી હત્યા બાદ સંદિપ ઘોષે પ્રિન્સિપાલપદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં હોસ્પિટલના બાયો મેડિકલ વેસ્ટ ના નિકાલમાં ગેરરીતિ ઉપરાંત અન્ય ગોલમાલો બાબતે સીબીઆઇએ તેમની ધરપકડ કરી હતી.
પીડિતાના પિતાએ કરેલો લાંચનો આક્ષેપ ખોટો: ટીએમસીનો દાવો
પીડીતાના પિતાએ તેમની પુત્રીનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો ત્યારે એક પોલીસ અધિકારીએ લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો કરેલો આક્ષેપ ખોટો હોવાનો ટીએમસીએ દાવો કર્યો હતો. મમતા મંત્રીમંડળના બે પ્રધાનોએ પત્રકાર પરિષદમાં એક જૂનો વિડીયો રજૂ કરી હતી જેમાં પીડિતાના પિતા તેમને લાંચ આપવાનો કોઈ પ્રયાસ ન થયો હોવાનું કહેતા નજરે પડે છે. ટીએમસીએ એવો સવાલ કર્યો કે પીડિતાના પિતાએ છેક આટલા દિવસો પછી કેમ આવોઆક્ષેપ કર્યો? શું તેમણે સીબીઆઈને આ વાત જણાવી હતી અને જો જણાવી હોય તો સીબીઆઇએ હજુ સુધી કેમ એક પણ પોલીસ અધિકારીની એ બાબતે પૂછપરછ નથી કરી?