13 વર્ષનો સંઘર્ષ અને અંતે ‘ઈચ્છામૃત્યુ’ : કોમામાં રહેલા હરીશ રાણાએ દુનિયાને કહ્યું-અલવિદા, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
છેલ્લા 13 વર્ષથી પથારીવશ અને અસહ્ય પીડા ભોગવી રહેલા ગાઝિયાબાદના હરીશ રાણાનું દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા ‘નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ’ (Passive Euthanasia)ની ઐતિહાસિક પરવાનગી મળ્યા બાદ હરીશે અંતિમ શ્વાસ લીધા હતા. એક તેજસ્વી એન્જિનિયરિંગ વિદ્યાર્થીથી લઈને 13 વર્ષ સુધી કોમામાં રહેવા સુધીની હરીશની સફર હૃદયદ્રાવક રહી છે. ગત સોમવારે મેડિકલ કમિટીની બેઠક મળી હતી. જેમાં “નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની પ્રક્રિયા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો ??
હરીશ રાણાના જીવનની કરુણતા વર્ષ 2013માં શરૂ થઈ હતી. જુલાઈ 2010માં તેમણે ચંદીગઢ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. 2013માં જ્યારે તેઓ અભ્યાસના અંતિમ વર્ષમાં હતા. ત્યારે રક્ષાબંધનના પવિત્ર દિવસે એક દુર્ઘટના ઘટી. પોતાની બહેન સાથે ફોન પર વાત કરતી વખતે હરીશ પીજી (PG)ના ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તબીબોએ નિદાન કર્યું કે હરીશને ‘ક્વાડ્રિપ્લેજિયા’ થયો છે. જેના કારણે તેમના હાથ-પગ અને શરીરના અંગો સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યારથી તેઓ કોમા જેવી સ્થિતિમાં પથારીવશ હતા.
કાયદાકીય લડત અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો
હરીશની સતત બગડતી હાલત અને અસહ્ય પીડા જોઈને તેમના માતા-પિતાએ તેમને ‘ઈચ્છામૃત્યુ’ આપવા માટે ન્યાયતંત્રના દ્વાર ખખડાવ્યા હતા. સૌ પ્રથમ દિલ્હી હાઈકોર્ટે 8 જુલાઈ, 2025ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પરિવારે હિંમત હાર્યા વગર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી લગભગ આઠ મહિનાની કાનૂની પ્રક્રિયા બાદ, 11 માર્ચ, 2026ના રોજ સુપ્રીમ કોર્ટે હરીશને ‘નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ’ માટે મંજૂરી આપી હતી.
હોસ્પિટલમાં ‘ચમત્કાર’ની આશા અને હનુમાન ચાલીસાના પાઠ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ AIIMS ના તબીબોની વિશેષ મેડિકલ કમિટીએ ઈચ્છામૃત્યુની પ્રક્રિયા શરૂ કરી હતી. છેલ્લા એક અઠવાડિયાથી હરીશને ખોરાક કે પાણી આપવામાં આવતું નહોતું અને તેઓ સઘન દેખરેખ હેઠળ હતા. આ મુશ્કેલ સમયમાં હરીશની માતા હોસ્પિટલના કોરિડોરમાં બેસીને સતત ‘હનુમાન ચાલીસા’ ના પાઠ કરી રહી હતી. પુત્રના અંતિમ સમય વિશે વાત કરતા તેમણે કહ્યું હતું, “મારો દીકરો શ્વાસ લઈ રહ્યો છે. તેનું હૃદય હજુ પણ ધબકી રહ્યું છે.” માતાએ એમ પણ કહ્યું, “તે મને પાછળ છોડી રહ્યો છે.”
નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ શું છે ??
નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે જ્યારે કોઈ દર્દી સાજા થવાની કોઈ જ શક્યતા ન હોય, ત્યારે તેને જીવંત રાખવા માટે આપવામાં આવતી લાઈફ સપોર્ટ સિસ્ટમ (જેમ કે વેન્ટિલેટર અથવા આર્ટિફિશિયલ ફીડિંગ)ને તબીબી દેખરેખ હેઠળ બંધ કરી દેવામાં આવે છે, જેથી દર્દી કુદરતી રીતે મૃત્યુ પામે. હરીશ રાણાનો આ કિસ્સો દેશમાં ઈચ્છામૃત્યુ અને ગંભીર બીમારીઓ સામે લડતા પરિવારોના માનસિક અને આર્થિક સંઘર્ષની ચર્ચા ફરી જગાડી ગયો છે. 13 વર્ષની લાંબી લડાઈ બાદ હરીશ હવે શાંતિની નિદ્રામાં પોઢી ગયા છે.
