હું અનંતને જોઉં છું, ત્યારે તેમાં મારા પિતા નજર આવે છે’
-મહેમાનો સમક્ષ બોલતા મુકેશ અંબાણીએ અનંતની સરખામણી પિતા ધીરૂભાઈ સાથે કરી
-અનંત અંબાણીએ પણ સુંદર રીતે અભિવ્યક્તિ કરી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં થઈ રહ્યું છે. આ પ્રસંગે યોજાયેલી પાર્ટીમાં દેશ-વિદેશમાંથી આવેલી સેલીબ્રીટીઓ સમક્ષ બોલતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘હું જ્યારે પણ અનંતને જોઉં છું ત્યારે મને તેમનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે.’અનંત અંબાણીએ પણ સુંદર રીતે શાબ્દિક અભિવ્યક્તિ કરી હતી અને એક તબક્કે મુકેશભાઈ અંબાણી પુત્ર અનંતના શબ્દો સાંભળીને ભાવુક પણ થઇ ગયા હતા.
મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘ભારતીય પરંપરામાં આપણે મહેમાનોને અતિથિ તરીકે સંબોધીએ છીએ. આપણે અતિથિ દેવો ભવ: કહીએ છીએ, જેનો અર્થ થાય છે કે અતિથિ ભગવાન સમાન છે. તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે.’
તેમણે કહ્યું કે, ‘આજે અનંત અને રાધિકા જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે. આજે મારા પિતા ધીરુભાઈ અમને સ્વર્ગમાંથી આશીર્વાદ આપી રહ્યા છે. મને ખાતરી છે કે તે આજે ખૂબ જ ખુશ હશે કારણ કે આપણે તેમના સૌથી પ્રિય પૌત્ર અનંતના જીવનની સૌથી ખુશીની ક્ષણની ઉજવણી કરી રહ્યા છીએ.’
મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘જામનગર મારા પિતા અને મારા માટે કર્મભૂમી રહ્યું છે, એક એવી જગ્યા જ્યાં અમને અમારું મિશન, જુસ્સો અને ઉદેશ્ય મળ્યું. ત્રીસ વર્ષ પહેલાં જામનગર સાવ ઉજ્જડ જમીન હતી, પરંતુ આજે તમે અહીં જે જુઓ છો તે ધીરૂભાઈના સ્વપ્નને સાકાર કરે છે.’
મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘સંસ્કૃતમાં અનંતનો અર્થ એવો થાય છે જેનો કોઈ અંત નથી. હું અનંતમાં અનંત શક્તિ જોઉં છું. જ્યારે પણ હું અનંતને જોઉં છું ત્યારે મને તેનામાં મારા પિતા ધીરૂભાઈ દેખાય છે. અનંતનો પણ મારા પિતા જેવો જ અભિગમ છે કે કશું જ અશક્ય નથી.’
