જેલમુક્તિ બાદ હેમંત સોરેન ફરી ઝારખંડના મુખ્યમંત્રી બનશે
ગઠબંધનની મળેલી બેઠકમાં નિર્ણય : ચંપાઈ સોરેન જેએમએમના કાર્યકારી પ્રમુખ બની શકે છે; નાટકીય ઘટનાક્રમ
હેમંત સોરેન ફરી એક વખત ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને રાષ્ટ્રિય જનતા દળના ધારાસભ્ય દળની મળેલી બેઠકમાં હેમંત સોરેનને ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા.
કથિત જમીન કૌભાંડ કેસમાં સોરેનની ધરપકડ બાદ ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે હેમંત સોરેનને જામીન પર છોડવામાં આવ્યાં હોવાથી ચંપાઈ સોરેન રાજીનામું આપશે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે ચંપાઈને ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે.
કથિત જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેનને હાઈકોર્ટ માંથી જામીન મળ્યાં બાદ 28 જૂનના રોજ જેલમાંથી છોડવામાં આવ્યાં હતાં. જોકે, હેમંત સોરેનની ધરપકડ પછી તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ તેમના નજીકના સહયોગી અને મંત્રી ચંપાઈ સોરેનને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં 2 ફેબ્રુઆરીના દિવસે રાજ્યના 12માં મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેને શપથ લીધા હતા.
હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં પછી સોરેન ફરી ખુરશી સંભાળી શકશે કે નહીં તેવી અટકળો જોવા મળી છે. 1500 પસંદ કરેલા શિક્ષકોની નિયુક્તિના પત્ર વિતરિત કરવા સહિતના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના મહત્વપૂર્ણ કાર્યો અચાનક રદ કરવામાં આવતાં કોઈ મોટો નિર્ણય લેવાશે તેવી અટકળો ફેલાઈ હતી.