કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાજકીય હિત માટે જાતિગત વસ્તી ગણતરીની માંગણી નથી કરી રહ્યા. અમારી પાસે કાસ્ટ સેન્સસ ડેટા નથી. આ ડેટા સરકાર પાસે છે. ભારત સરકારે તે ડેટા બધાની સામે મૂકવો જોઈએ.
તાજેતરમાં જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની તારીખો અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત થતાંની સાથે જ પાંચ રાજ્યોમાં આજથી આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. મહત્વનુ છે કે ચૂંટણીની જાહેરાત થયા બાદ તરત જ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી. બેઠકમાં ચૂંટણી સંબંધિત મુદ્દાઓ અને ભાજપને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જાતિગત વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીમાં મળેલી CWCની આ બેઠક બાદ મીડિયાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે તેમણે એ પણ જણાવ્યુ I.N.D.I.A ગઠબંધન તેને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાં જાતિગત વસ્તી ગણતરી કરાવશે. OBCનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશની લગભગ 50 ટકા વસ્તી ધરાવે છે. પરંતુ સરકારમાં તેમની કોઈ ભૂમિકા નથી.