ઘઉંની સટ્ટાબાજીને કાબુમાં લેવા આજથી નિયંત્રણ
છૂટક-જથ્થાબંધ વેપારીઓ અને પ્રોસેસર્સે દર શુક્રવારે ઘઉંનો સ્ટોક જાહેર કરવો પડશે
પહેલી એપ્રિલથી દેશમાં ઘઉંના ટ્રેડર્સ તથા પ્રોસેસર્સે દર સપ્તાહે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનો રહેશે. હાલની સ્ટોક મર્યાદા આજે 31મી માર્ચના રોજ સમાપ્ત થઇ છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંની સંગ્રહખોરી અટકાવવાના પગલા રૂપે સરકારે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા જણાવાયું છે કે, દેશમાં અન્ન સલામતિ જાળવવા અને સટ્ટાખોરી અટકાવવાના ભાગરૂપ સરકારે ટ્રેડર્સ, રિટેલરો, હોલસેલરો તથા પ્રોસેસરો માટે પહેલી એપ્રિલથી દર શુક્રવારે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનું ફરજિયાત બનાવાયું છે.
ઘઉંની સ્ટોક લિમિટનું ધોરણ દરેક માટે 31મી માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. સ્ટોકની સ્થિતિ ટે્રડરોએ સરકારી પોર્ટલ પર જાહેર કરવાની રહેશે. દેશમાં ઘઉંના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવાના થતાં પ્રયાસો પર સરકાર સખત દેખરેખ રાખી રહી છે.
દરમિયાન સરકારે દેશના વિવિધ રાજ્યોમાં રવી મોસમના ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. મુખ્ય રવી પાક ઘઉંની લણણી પહેલા જ દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન વધી જતા અને હળવા વરસાદને કારણે ઘઉંનું ઉત્પાદન નીચું ઊતરવાની શકયતા જોવાઈ રહી છે.
બીજી બાજુ સરકાર દ્વારા તાજેતરમાં ઘઉંના કરાયેલા ઓકશનમાં મોટાભાગનો માલ ઉપડી ગયો હતો. ઘઉંનું ઉત્પાદન નીચુ રહેવાની શકયતાએ ઓકશનમાં ઓફર ભાવમાં વધારો જોવા મળ્યો હતો, આ હકીકતને ધ્યાનમાં રાખી સરકાર ઘઉંના સ્ટોકસ પર નજર રાખી રહી છે.
