રાજકોટમાં છે સ્વયંભૂ શીતળા માતાજીનું ૩૦૦ વર્ષ જૂનું મંદિર
બેડીપરામાં આવેલા મંદિરમા રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આવે છે શ્રદ્ધાળુઓ: વર્ષ ૧૯૮૨માં થયો હતો મંદિરનો જીર્ણોદ્ધાર
રાજકોટમાં શીતળા માતાજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. જે આશરે ૩૦૦ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. જ્યારે આ મંદિરની વિશેષતા એ છે કે, અહી શીતળા માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. રાજકોટ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે.
રાજકોટના બેડીપરા વિસ્તારમાં શીતળ માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર રાજકોટ જ નહી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ જાણીતું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર વર્ષ ૧૯૮૨માં કરવામાં આવ્યો હતો. આ પહેલાથી જ અહી શીતળા માતાજીનું મંદિર આવેલું હતું. વર્ષ ૧૯૮૨માં આ વિસ્તારના લોકોએ ફાળો એકઠો કરીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મંદિરના જીર્ણોદ્ધાર સમયે સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરના પૂજારી પ્રવીણગિરિ ગોસ્વામીએ શીતળા માતાજીના મંદિર વિશે જણાવ્યું હતું કે, આ મંદિર ઘણું જ પ્રાચીન છે. આજે અમારી ત્રીજી પેઢી માતાજીની પુજા-સેવા કરે છે. પહેલા આ મંદિર નાનું હતું. બાદમાં આજ થી ૪૨ વર્ષ પૂર્વે મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો અને મંદિર શિખરબધ્ધ બનાવવામાં આવ્યું છે. મંદિરના પટાંગણમાં કાશી વિશ્વનાથ મહાદેવનું પણ મંદિર આવેલું છે. અહી દરરોજ આ વિસ્તારના લોકો મહાદેવજીને જલાભિષેક, દુગ્ધાભિષેક અને બીલીપત્ર ચળાવવા આવે છે.
શીતળા સાતમના દિવસે અહી મેળો પણ ભરાય છે. જેમાં અંદાજે ૧૦ થી ૧૫ હજાર લોકો આવે છે. જ્યારે માતાજીને કુલેરનો પ્રસાદ ધરીને શ્રદ્ધાળુઓને આ કુલરેનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. પૂજારી કહ્યું હતું કે, લોકોને માતાજી પર ઘણી જ શ્રદ્ધા છે. અહી કોઈ બાળકોને આખ થાય તો તેની માનતા રાખે છે અને જ્યારે બાળકને સારું થઈ જાય ત્યારે અહી દર્શન કરાવવા આવે છે અને માતાજીને પ્લાસ્ટિકની આંખ અર્પણ કરે છે.
શીતળા માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હોય તેવા માત્ર બે જ મંદિર
આપણે ભગવાન શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હોય તેવા મંદિરો વિશે તો અનેકવાર સાંભળ્યું હશે પરંતુ શીતળા માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હોય તેવું ખૂબ ઓછું જણાવા મળે છે. રાજકોટના બેડીપરામાં આવેલા આ મંદિરમાં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. પૂજારીના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં શીતળા માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હોય તેવા માત્ર બે જ મંદિર છે. એક રાજકોટમાં આવેલું મંદિર અને બીજુ મંદિર જામનગર જિલ્લાના કાલાવાડમાં આવેલું છે.
મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવો ઉજાવાય છે ધામધૂમ પૂર્વક
શીતળા માતાજીના મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવોનું ધામધૂમ પૂર્વક આયોજન થાય છે. રામ નવમી, શિવરાત્રિ, શીતળા સાતમ સહિતના તહેવારો ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી દર્શનાર્થે આવે છે.