સાંઢિયા પુલ નજીક આવેલું છે ભૂતનાથ મહાદેવનું ૨૫૦ વર્ષ જૂનું મંદિર
દ્વારકા જતાં સાધુઓની જમાતમાંથી એક સાધુને સ્વયંભૂ શિવલિંગ નજરે પડતાં એમણે કરી હતી સ્થાપના: મંદિર પટાંગણમાં જ છે મારુતિનંદન હનુમાનજીનું મંદિર
રાજકોટમાં ભગવાન ભોળાનાથનું એક એવું મંદિર આવેલું છે કે જેની સ્થાપના આજથી અંદાજે ૨૫૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી. વર્ષો પહેલા જ્યારે સાધુઓની જમાત દ્વારકા પગપાળા જઈ રહી હતી ત્યારે રાજકોટમાં રોકાઈ હતી અને તે સમયે જંગલ જેવા વિસ્તાર અને હાલના સાંઢિયા પુલ નજીક સાધુઓની જમાતમાંથી એક સાધુએ ભૂતનાથ મહાદેવની સ્થાપના કરી હતી.
રાજકોટમાં ભગવાન ભોળાનાથના અનેક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. તેમાંનું એક મંદિર છે જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક આવેલું ભૂતનાથ મહાદેવ મંદિર. આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો મંદિરના પૂજારી જગદીશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજેથી અંદાજે ૨૫૦ વર્ષ પહેલા એક સાધુઓની જમાત દ્વારકા પગપાળા જઈ રહી હતી.
આ જમાત હાલના સાંઢિયા પુલ પાસે રોકાઈ હતી. તે સમયે આ વિસ્તાર એકદમ જંગલ વિસ્તાર હતો. અહી એક સાધુને શિવલિંગ મળ્યું હતું. બાદમાં એમણે અહી શિવલિંગની સ્થાપના કરી. આ સ્વયંભૂ શિવલિંગની સેવા-પુજા કરવા માટે તે સાધુ અહી જ રોકાઈ ગયા હતા. બાદમાં એમણે અહી નાની દેરી બનાવી. સમય જતાં વર્ષ ૧૯૬૮માં આ મંદિરનો હેમગરગીરી બાપુ ગોસ્વામીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હાલ મંદિરની સેવા-પુજા નટવરગીરી અને એમના ભાઈ જગદીશગીરી કરી રહ્યા છે.
વર્ષો પહેલા આ જગ્યા જંગલ વિસ્તાર હતી. કોઈ જ રહેણાંક ન હતું. તેના કારણે આ ભગવાન ભોળાનાથને ભૂતનાથ નામ આપવામાં આવ્યું હતું અને આજે ભૂતનાથ મહાદેવ શહેરના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. મંદિરના વિશાળ પટાંગણમાં ભૂતનાથ મહાદેવ મંદિર ઉપરાંત મારુતિનંદન હનુમાનજીનું પણ મંદિર આવેલું છે. જ્યાં દર શનિવારે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.
દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસના ૪ સોમવારે ભક્તો માટે પ્રસાદ, ફરાળનું પણ આયોજન કરવામાં આવે છે. જ્યારે શિવરાત્રિની પણ મંદિર દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મહત્વનું છે કે, મંદિરમાં ખૂબ ઘટાદાર વૃક્ષો પણ આવેલા છે. તેમાંથી પીપળાનું વૃક્ષ પણ ૨૫૦ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં જ એક નાની ગૌશાળા પણ આવેલી છે. જ્યાં ૪ ગાય છે જેની નટવરગીરી અને જગદીશગીરી સર સંભાળ રાખી રહ્યા છે.
મંદિરના પટાંગણમાં ગાયત્રી, શીતળા માતાજી, ગુરુદતાત્રેયનું પણ છે મંદિર
ભૂતનાથ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં આવે છુ. મંદિરના પટાંગણમાં જ ભૂતનાથ મહાદેવ ઉપરાંત ગાયત્રી માતાજી, શીતળા માતાજી, ગુરુ દતાત્રેય, નાગ દેવતાનું પણ મંદિર આવેલું છે. જેના દર્શન માટે મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો દરરોજ આવે છે. શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે હજારો ભક્તોની ભીડ ઉમડે છે.
મંદિરમાં જેટલા સાધુ-પૂજારીએ પૂજા કરી એમની સમાધિ પણ છે
મંદિરના પટાંગણમાં આગળના ભાગે નાના-નાના મંદિર આવેલા છે. જે મંદિર નહી પરંતુ મંદિરમાં ૨૫૦ વર્ષથી સેવા-પૂજા કરનાર સાધુ અને પૂજારીની સમાધિ છે. ભગવાન ભૂતનાથનિ સેવા કરનાર પૂજારીઓનું મૃત્યુ થતાં તેમને અહી સમાધિ આપવામાં આવી હતી.