પરિવાર ઘરમાં સૂતો રહ્યોને તસ્કર રોકડ-ઘરેણાં તફડાવી ગયો
રૈયાધારમાં આવેલા 12 માળીયા ક્વાટરનો બનાવ : 31 હજારની મતા ચોરાઈ
રાજકોટમાં રૈયાધારમાં આવેલા 12 માળીયા ક્વાટરમાં ચોથા માળે રહેતો પરિવાર બહારગામથી રાત્રિના ઘરે આવ્યો હતો.ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો રાખીને સૂઈ જતા તસ્કર ઘરમાં પ્રવેશી કબાટમાંથી રોકડ અને સોનાના ઘરેણાં મળી રૂ.31 હજારની મતા ચોરી જતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગત મુજબ રૈયાધારમાં આવેલા 12 માળીયા ક્વાટરમાં ચોથા માળે રહેતા અને કડિયા કામ કરતાં બાબુભાઈ ગોવિંદભાઈ બથવારે નોંધાવેલઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે,દિવાળીની રજાઓ હોવાથી તેઓ ઘરેથી પરિવાર સાથે કચ્છ ગયા હતા.અને ત્યાંથી ગત તા.5ના મોડી રાત્રિના પરત આવ્યા હતા.તેઓ ઘરે આવીને દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા બાદ સવારે પોતાના ગામડે જવું હોવાથી રિક્ષાની ચાવી શોધતા તે ન મળી આવતા કબાટમાંથી બીજી ચાવી કાઢવા માટે ગયા હતા.ત્યરે કબાટમાં રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાં મળી કુલ રૂ.31 હજારની મતા ચોરી થયા હોવાનું માલૂમ પડતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઈ એન.કે.પંડયાએ અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.