નામમાં એક અક્ષર ખોટો લખાઈ જતાં હત્યારો ૩૫ વર્ષ સુધી ન પકડાયો !
નામમાં શું રાખ્યું છે' નહીં
નામમાં જ ઘણું બધું રાખ્યું છે’ સાબિત કરી દેતી પોલીસ
ચોપડે લીધેલા નામના આધારે પોલીસે ત્રણ વખત કર્ણાટકમાં ધામા નાખ્યા પણ મેળ' ન પડ્યો, આખરે મતદાર યાદી-આધાર કાર્ડની યાદી ચકાસતાં સાચું નામ મળ્યું'ને ચોથે ધક્કે દબોચી લેવાયો
૧૯૯૦માં આડાસંબંધના કારણે તમીલનાડુના યુવકની લોધીકા ગામે શીતળા મંદિર પાસે થઈ હતી હત્યા: રૂરલ એલસીબીએ સૌરાષ્ટ્રનો સૌથી જૂનો કેસ ઉકેલી નાખ્યો
શેક્સપીયરની એક કહેવત બહુ પ્રચલિત છે કે
નામમાં શું રાખ્યું છે’ જો કે આ કહેવતને રાજકોટ (રૂરલ) એલસીબીની ટીમે ખોટી સાબિત કરી બતાવી છે. ૧૫-૭-૧૯૯૦માં લોધીકાના પારડીમાં શીતળા મંદિર પાસેથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવે છે. આ પછી પોલીસ ચોપડે તમામ પ્રકારની નોંધ કરે છે. થોડા સમય બાદ એક હત્યારો પકડાઈ જાય છે અને તેની કબૂલાતના આધારે અન્ય હત્યારાનું નામ ખુલે છે પરંતુ આ નામમાં એક અક્ષર ખોટો લખાઈ જતાં હત્યારો ૩૫ વર્ષ સુધી પોલીસના હાથે લાગ્યો ન્હોતો. જો કે પોલીસ ધારે તો પાતાળમાંથી પણ શોધી લાવે'ના સૂત્રથને સાર્થક કરી ૩૫ વર્ષથી નાસતાં ફરતાં આ હત્યારાને છેક ગોવાથી દબોચી લીધો હતો ! તા.૧૫-૭-૧૯૯૦ના કાનજીભાઈ સામજીભાઈ ભુવા (પટેલ, રહે.પારડી)એ લોધીકા પોલીસ મથકને જાણ કરી હતી કે શીતળા મંદિર પાસે છરીના ઘા ઝીંકીને હત્યા કરાયેલી એક લાશ મળી આવી છે.
આ પછી પોલીસે દોડી જઈ તમામ કાર્યવાહી શરૂ કરી હતી. થોડા દિવસ બાદ પીરમલ પાક્ય નાડરે પોલીસને જણાવ્યું હતું કે આ લાશ નૈનતુરઈ એકવ નાડર (રહે.તમીલનાડુ)ની છે અને તે તેનો માસિયાઈ ભાઈ હતો. નૈનતુરઈને પીછૈયા ઉર્પે વિજય સન્મુખવેલ નાડરની પત્ની સાથે આડાસંબંધ હોય તેની જાણ પીછૈયા ઉર્ફે વિજયને થઈ જતાં તેણે અને બસપ્પા ઉર્ફે સુરેશે મળીને નૈનતુરઈની હત્યાનેઅંજામ આપ્યો હતો. આ પછી પોલીસે ૨૯-૭-૧૯૯૦ના પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડર (રહે.તમીલનાડુ)ને પકડી લીધો હતો. પકડાયા બાદ તેણે કબૂલાત આપી હતી કે નૈનતુરઈને તેની પત્ની સાથે આડાસંબંધ હોવાથી વારંવાર તે તેની સાથે ઝઘડો કરતી હોય પત્નીને વતનમાં મુકી આપ્યો હતો અને ત્યાંથી પરત આવી બસપ્પા ઉર્ફે સુરેશ સાથે મળીને છરીના ઘા ઝીંકી નૈનરતુઈને પતાવી દીધો હતો. બસપ્પા ઉર્ફે સુરેશ ગીરમલા કાવલગુડ (રહે.કર્ણાટક)નું નામ ખુલ્યા બાદ રૂરલ એલસીબી દ્વારા ત્રણ-ત્રણ વખત કર્ણાટક જઈને શોધવામાં આવ્યો હતો. એ સમયે પોલીસે બસપ્પાનું નામ
બસામા’ લખ્યું હોય ત્રણેય વખત તે નામના આધારે તપાસ કરવામાં આવી હતી. જો કે આ નામે બસપ્પા હાથમાં આવ્યો ન્હોતો.
રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, એએસઆઈ રવિદેવ બારડ, રોહિત બકોત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, વકાર આરબ, પ્રકાશ પરમાર સહિતની ટીમે ફરી કર્ણાટકમાં ધામા નાખ્યા હતા. અહીં પોલીસે મતદાર યાદી, આધારકાર્ડની યાદી સહિતની માહિતી ફેંદી નાખી હતી જેમાં ખુલાસો થયો હતો કે તે જેને શોધી રહ્યા છે તેનું નામ `બસામા’ નહીં બલ્કે બસપ્પા છે ! આ આધારે પોલીસ બસપ્પા ઉર્ફે સુરેશનો ભાઈ સિદ્ધલીગ ગીરમલા કાવલગુડ તેમજ તેનો બનેવી અપ્પનગૌડા પલગૌડા પાટીલની સઘન પૂછપરછ કરતાં તેમણે બસપ્પા ગોવામાં હોવાના વટાણા વેરી દેતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને બસપ્પા ઉર્ફે સુરેશ (ઉ.વ.૬૪)ને રાયા (સાઉથ ગોવા)થી દબોચી લીધો હતો.
મીત્ર સાથે મળી હત્યા કરવા બદલ ૧૫,૦૦૦ મળ્યા’તા
બસપ્પા ઉર્ફે સુરેશે પીછૈયા ઉર્ફે વિજય સાથે મળીને જે હત્યાને અંજામ આપ્યો હતો તેના બદલામાં તેને ૧૫,૦૦૦ રૂપિયા મળ્યા હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ તે ઘરબાર છોડીને ગોવા ચાલ્યો ગયો હતો અને ત્યાં પ્રેમલગ્ન કરીને રહેતો હતો. બસપ્પાનો પુત્ર ગોવામાં શીપિંગ કંપનીમાં કામ કરતો હોવાની માહિતી પણ પોલીસ માટે કારગત નિવડી હતી.
ગુનો દાખલ થયો ત્યારે પોલીસમાં નોકરીએ લાગ્યા, નિવૃત્ત થયા બાદ આરોપી પકડાયો !
એક રસપ્રદ વાત એવી પણ જાણવા મળી કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે ૧૯૯૦માં રૂરલ મહેશભાઈ જાની પોલીસ ફરજમાં કાર્યરત થયા હતા. ગુનાનો ભેદ ઉકેલવા માટે તેમણે પણ અથાગ મહેનત કરી હતી પરંતુ સફળતા મળી ન્હોતી. હવે જ્યારે મહેશભાઈ નિવૃત્ત થઈ ગયા છે ત્યારે છેક ૩૫ વર્ષે હત્યારો પકડાઈ જતાં તેમના ચહેરા ઉપર પણ અલગ જ સ્મિત જોવા મળ્યું હતું.
ક્રાઈમે હત્યારા પર જાહેર કર્યું’તું ૧૦,૦૦૦નું ઈનામ
રૂરલ પોલીસ મથક દ્વારા અનેક પ્રયાસ કરાયા છતાં સફળતા ન મળતાં આખરે આ હત્યા કેસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઈમ દ્વારા બસપ્પા ઉર્ફે સુરેશને રાજકોટ જિલ્લાના ટોપ-૧૦ આરોપીમાં સામેલ કરી તેના ઉપર ૧૦,૦૦૦નું ઈનામ જાહેર કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
બહેનનો ત્રણ તોલાનો સોનાનો ચેઈન પણ પચાવી પાડ્યો’તો
પોલીસે જે-તે સમયે બસપ્પા ઉર્ફે સુરેશના બનેવી અપ્પનગૌડા પલગૌડા પાટીલની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે બસપ્પા તેનો સાળો છે અને તે ક્યાં છે તેની કશી જ ખબર નથી અને તે પોતે પણ બસપ્પાને શોધી રહ્યો છે કેમ કે તે પોતાની પત્ની એટલે કે બસપ્પાની બહેનનો ત્રણ તોલાનો સોનાનો હાર લઈને નાસી ગયો છે.