લોન અપાવી દેવાના બહાને એજન્ટે વેપારી પાસેથી રૂ.1.29 કરોડ પડાવ્યા
જામનગરના વેપારીને વિદેશની બેન્કમાં 8 કરોડની લોન કરાવી આપવાનું કહી ચંદીગઢના શખસે પ્રોસેસિંગ ફીના નામે પૈસા ખંખેર્યા : હોટલ સહીતના ખર્ચના પણ પૈસા ઉઘરાવ્યા : રાજકોટ સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી ગઠિયાની શોધખોળ કરી
જામનગરમાં રહેતા વેપારીને ધંધા માટે લોનની જરૂરિયાત હોવાથી તેનો પરિચય ચંદીગઢના શખસ સાથે થયો હતો.અને આ શખસે વેપારીને 8 કરોડની લોન કરાવી આપવાનું કહીને પ્રોસેસિંગ ફીના નામે તેમજ લોનના કામમાં પોતાને ખર્ચ કરવો પડ્યો તેમ કહી 1.29 કરોડ પડાવી લીધા હતા.અને લોન પણ કરાવી ન આપી હતી.જેથી આ મામલે વેપારીની ફરિયાદ પરથી રાજકોટ સીઆઈડી ક્રાઇમ દ્વારા ચંદીગઢના લોન એજન્ટ સામે ગુનો નોંધ્યો છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ જામનગરના કનસુમરા ગામે રહેતા અને ઓસ્વાલ કોલોનીમાં વેપાર કરતા ઇકબાલભાઇ હારુનભાઈ ખીરા નામના વેપારીએ નોંધાયેલી ફરિયાદમાં આરોપીમાં ચંદીગઢના ઝીરાકેપુર ગામે રહેતા સવી રાજેન્દ્રકુમાર વર્માનું નામ આપતા જણાવ્યું હતું કે,પોતાને ધંધામાં પૈસાની જરૂરિયાત હોવાથી લોન કરાવવી હતી.જેથી આ બાબતે તેના મિત્ર અલ્તાફભાઈને વાત કરતા તેને આરોપી સવી સાથે પરિચય કરાવ્યો હતો.આરોપી પોતે લોન એજન્ટનું કામ કરે છે.અને વેપારીને યુ.કે ખાતેની બારકલેસ બેન્કમાં 8 કરોડની લોન કરાવી આપશે તેવો વાયદો કર્યો હતો.
લોન કરાવી આપવા પોતે 10 ટકા એડવાન્સ અને 20 ટકા લોન થયા બાદ ચાર્જ લેશે તેમ વાત કરી હતી.ગઠિયાએ વેપારી પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ લઇ અને કટકે કટકે પૈસા પડાવવાનું શરુ કર્યું હતું.જેમાં તેને લોન પ્રોસેસિંગ ફીના નામે 1.25 કરોડ તેમજ હોટલ અને અન્ય ખર્ચ થયા હોવાનું કહી 4.15 લાખ આમ કુલ 1.29 કરોડ વેપારી પાસેથી પડાવી લીધા હતા.અને લોન પણ કરી આપી ન હતી.જેથી વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ પડતા પોલીસમાં અરજી કરતા રાજકોટ સીઆઇડી ક્રાઇમ દ્વારા ચંદીગઢના સવી રાજેન્દ્રકુમાર વર્મા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.