સંજય રૉય જ મુખ્ય આરોપી ; દુષ્કર્મ બાદ હત્યા કરી
કોલકત્તા આરજી હોસ્પિટલ મહિલા તબીબ દુષ્કર્મ હત્યા કેસમાં
સીબીઆઈએ કોર્ટમાં 200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી; સામૂહિક દુષ્કર્મ થયું જ નથી
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં સીબીઆઈએ સોમવારે પોતાની ચાર્જશીટ દાખલ કરી હતી. દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 200થી વધુ પાનાની ચાર્જશીટમાં 200 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
મહત્વની વાત એ છે કે, તેમાં માત્ર દુષ્કર્મ અને હત્યાની વાત છે. ચાર્જશીટમાં સામૂહિક દુષ્કર્મનો કોઈ ઉલ્લેખ નથી. સીબીઆઇની ચાર્જશીટ પ્રમાણે આ કેસના મુખ્ય આરોપી સંજય રોયે જ પીડિત ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. કોલકાતાની એક સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું કે, સ્થાનિક પોલીસ સાથે વોલેન્ટિયર તરીકે કામ કરનાર રોયે 9 ઓગષ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં આ ઘટનાને કથિત રીતે અંજામ આપ્યો હતો.
અધિકારીના જણાવ્યા પ્રમાણે એજન્સીએ ચાર્જશીટમાં ગેંગરેપના આરોપનો ઉલ્લેખ નથી કર્યો, તેનાથી એ સંકેત મળે છે કે, રોયે એકલા જ આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપીએ કથિત રીતે આ ગુનો ત્યારે કર્યો હતો જ્યારે ડોક્ટર રાત્રે જમ્યા બાદ હોસ્પિટલના સેમિનાર હોલમાં આરામ કરવા ગયા હતા. સીબીઆઇના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રોયને મુખ્ય આરોપી તરીકે નામાંકિત કરનારી ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જો કે, આ કેસમાં અન્ય કોઈ શંકાસ્પદ સંડોવાયેલા છે કે કેમ તે અંગે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે.