મને કે મારી માતાને કંઈ થશે તો ડૉ.વસાવડા જવાબદાર
ફ્લેટ પચાવી પાડવાના ગુનામાં ધરપકડથી બચવા પેરાસીટામોલ ખાઈ લેનાર મહિલાની પુત્રીનો વીડિયો વાયરલ
રાજકોટના જાણીતા ન્યુરોસર્જન ડૉ.હેમાંગ વસાવડાના મોટામવા ગામે આવેલા બે ફ્લેટ પચાવી પાડવાની ફરિયાદ નોંધાયા બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ કેસમાં ધરપકડ પર સ્ટે આપ્યા બાદ કાનૂની લડત ચાલી હતી જેમાં કોર્ટે સ્ટે ઉઠાવી લેતાં તાલુકા પોલીસ મથકની ટીમ મહિલાની ધરપકડ કરવા પહોંચતાં મહિલાએ પેરાસીટામોલની ટીકડી વધુ પડતી ખાઈ લેતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી.
હવે આ મામલાએ નવો વળાંક લીધો હોય તેવી રીતે મહિલાની પુત્રીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે એમ કહી રહી છે કે પોતાને, માતાને કે દાદીને કશું થશે તો તેના માટે ડૉ.હેમાંગ વસાવડા જવાબદાર ગણાશે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે દીપાલીબેન જોશીના પતિ નિલેશ જોશી જેમણે આપઘાત કરી લીધો હતો. આ અંગે પુત્રી એન્જલ જોશીએ જણાવ્યું કે મારા પિતાએ આપઘાત નહીં બલ્કે તેમની હત્યા કરવામાં આવી છે. ડૉ.હેમાંગ વસાવડા દ્વારા વારંવાર હેરાન-પરેશાન કરવામાં આવતા હોય આખરે તેની માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હવે આ પ્રકારનો વીડિયો વાયરલ થતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.