RTIની માહિતી ઝડપથી આપવાના બદલામાં ૧૦,૦૦૦ની લાંચ લેતાં ક્લાર્ક પકડાયો
સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરીમાં એસીબીનો દરોડો: આ પ્રકારે લાંચ મંગાયાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો
લાંચિયા અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા એક બાદ એક દરોડા પાડવામાં આવી રહ્યા હોય અત્યારના સમયમાં લાંચિયા કર્મીઓ અને અધિકારીઓમાં ઐતિહાસિક ફફડાટ જોવા મળી રહ્યો છે. આવો જ એક લાંચિયો કર્મચારી એસીબીના સાણસામાં સપડાયો હતો જે આરટીઆઈ હેઠળ મંગાયેલી માહિતી ઝડપથી આપવાના બદલામાં ૧૦,૦૦૦ની લાંચ લઈ રહ્યો હતો.
એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ જામનગર પીઆઈ આર.એન.વિરાણી દ્વારા સુરેન્દ્રનગરના બહુમાળી ભવનમાં આવેલી ખાણખનીજ વિભાગની કચેરીના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું. આ અંગે ફરિયાદીએ સીલિકા રેતીની લીઝની માંગણી કરી હતી જે લાંબા ગાળાથી પેન્ડીંગ હોવાને કારણે તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદી દ્વારા આરટીઆઈ મારફતે માહિતી માંગવામાં આવી હતી.
કચેરી દ્વારા આ માહિતી અધૂરી આપવામાં આવી હતી. જો કે આ માહિતી તૈયાર કરવાનું કામ કરતા જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ દ્વારા માહિતી ઝડપથી આપવાના બદલામાં ૧૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક સાધતાં જ એસીબીએ અમૃત ઉર્ફે આનંદને લાંચ લેતાં રંગેહાથે પકડી પાડ્યો હતો.