ભગવતીપરાના પરિવારની હત્યા કરનાર સિરિયલ કીલર સામે ગુનો નોંધાયો
તાંત્રિક નવલસિંહ ચાવડા સામે વધુ એક ફરિયાદ
યુવતીની હત્યા કરી તેની લાશના ટુકડા કરી મોરબી પાસે દાટી દીધા બાદ માતા-પિતા-પુત્રને પડધરી ખાતે બોલાવી પ્રસાદીના નામે ઝેર પીવડાવ્યું હતું : મદદગારી કરનાર સિરિયલ કીલરના સાળાની ધરપકડ
શહેરમાં ભગવતીપરામાં રહેતા મુસ્લિમ પરિવારના સભ્યો સહિત 12 લોકોની સોડિયમ નાઈટ્રેટ કેમિકલ પીવડાવી હત્યા નિપજાવનાર તાંત્રિક નવલસિંહ ચાવડાનું પોલીસ રિમાન્ડમાં જ ભેદી મોત થયું હતું.બાદમાં આ મામલે તપાસ કરી પોલીસે પ્રથમ મુસ્લિમ પરિવારની યુવતીની મોરબી પાસેથી ટુકડા કરાયેલી લાશ મળી આવી હતી.અને ગુનો નોંધ્યા બાદ માતા-પિતા-પુત્રને પડધરી ખાતે ઝેર પીવડાવી હત્યા કરવા મામલે પડધરી પોલીસે મૃતલ નવલસિંહ અને તેના સાળા જીગર સામે ગુનો નોંધી જીગરની ધરપકડ કરી છે.

વિગત મુજબ રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી નગ્મા મુકાસમ સાથે સિરિયલ કીલર નવલસિંહને પ્રેમ સબંધ હોય જેથી નગ્મા લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. પરંતુ તે લગ્ન કરવા માંગતો ન હતો. જેથી નગ્મા નવલસિંહના ઘરે પહોંચી હતી અને કોઈપણ ભોગે ત્યાંથી નહીં જાય તેવી જીદ પકડતાં નવલસિંહ તેને ઘરે આવેલા મેલડી માતાના મઢમાં લઈ ગયો હતો. બોટલમાંથી પાવડરવાળું પાણી પીવડાવ્યું હતું. જેથી નગ્માને ઊલ્ટી થવા લાગતાં તેને પકડીને મકાનના ઉપરના માળે લઈ ગયો હતો. થોડી વાર બાદ નગ્માની હત્યા કરી તેની લાશના કટકા કરી મોરબી નજીક દાટી દીધા હતા.બાદમાં પરિવારે નવલસિંહનો સંપર્ક કરતાં તેણે નગ્મા કોઈની સાથે ભાગી ગયાનું કહ્યું હતું. પરંતુ નગ્માનો પતો ન મળતા પરિવારજનોએ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જેથી તેને નગ્માના પિતા કાદરભાઈ અલીભાઈ મુકાસમ (ઉ.વ.62), માતા ફરીદાબેન (ઉ.વ.58) અને ભાઈ આસીફ (ઉ.વ.35)ને વિધિ કરવાના બહાને પડધરી પાસે બોલાવ્યા હતા.જ્યાં તેઓને માતાજીની પ્રસાદીના નામે ઝેરી દવા પીવડાવી દીધી હતી.અને પોતે જ સ્યુસાઇડ નોટ લખીને તેઓની પાસે રાખી દીધી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ રાજકોટમાં થયેલ આ ત્રણ હત્યા અંગે જીગર જાણતો હોવાથી તેની પણ હત્યા થશે તેવો તેને ડર હતો. જો કે હત્યામાં જીગરની સંડોવણી સામે આવતા હાલ પડધરી પોલીસે આરોપી જિગરનો કબ્જો મેળવી તેની ધરપકડ કરી હતી.
મહિલાની ટુકડા કરેલી લાશ અને આજી નદીમાંથી મળી આવેલા બાળકના માથા મામલે સિરિયલ કીલરની સંડોવણી હોવાની શંકા
રાજકોટના બેડી ચોકડી નજીક લાલપરી નદીમાંથી ગત તા 14/4/2023ના રોજ મહિલાની ટુકડા કરાયેલી હાલતમાં લાશ થેલાઓમા મળી આવી હતી.અને આ લાશ સાથે કાળા કલરના તાવીજો પણ મળી આવ્યા હતા. જેથી તેની તાંત્રિક વિધિ કરી હત્યા કર્યાનું પોલીસની તપાસમાં ખૂલ્યું હતું.અને તે ગુન્હા મામલે આરોપીની હજુ સુધી કોઈ ભાણ પણ પોલીસને મળી નથી ઉપરાંત છ વર્ષ પૂર્વે આજી નદી માંથી બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું.જે બંને ગુન્હામાં સિરિયલ કીલર નવલસિંહની સંડોવણી હોવાથી પોલીસને શંકા જતાં પોલીસે આ મામલે જીગરની વધુ પૂછતાછ હાથધરી છે.