રાજકોટમાં વધુ એક શરાફી મંડળીનું ઉઠમણું : 12 રોકાણકારોના 2.90 કરોડ ડૂબ્યાં
એડવોકેટે પિતા-પુત્રએ લક્ષ્મીનયન ક્રેડિટ સોસાયટી ચાલુ કરી આરએમસી કર્મચારી સહિતના લોકોને સારા વળતરની લાલચ આપી છેતર્યા : ગોલ્ડ સ્કીમ અને ફાયનાન્સ પેઢી ચાલું કરી લોકોના પૈસા હજમ કરી જતાં યુનિવર્સિટી પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો
રાજકોટમાં રોકાણકારોના લાખો-કરોડો રૂપિયા લઈને શરાફી મંડળીઓનું ઉઠમણું થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વધુ એક શરાફી મંડળીએ રોકાણકારોના પૈસા હજમ કરી તેઓને રાતા પાણીએ રોવડાવ્યા છે. ગોપાલ ચોકમાં એડવોકેટ પિતા-પુત્રએ શ્રી લક્ષ્મીનયન કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી નામની શરાકી પેઢી ખોલી બચત ઉપરાંત ગોલ્ડ સ્કીમ ફાઈનાન્સ સ્કીમ નામે અલગ અલગ સ્કીમો તથા પેટા પેઢીઓ ખોલીને રોકાણકારોના ૨,૯૦,૩૯,૦૦૦ રૂપિયાનું કૌભાંડ કર્યાનું સામે આવતા યુનિવર્સિટી પોલીસે પિતા-પુત્ર સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
વિગત મુજબ કુવાડવા રોડ પરની વૃંદાવન સોસાયટી શેરી નં.૩માં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ લુણાગરીયા (ઉ.વ.૪૫) નામના યુવાને ૧૫૦ ફિટ રીંગ રોડ પર મોદી સ્કુલ સામે આવેલ અમી પાર્ક બ્લોક નં.એ-૫, શ્રી લક્ષ્મીનયન મકાનમાં રહેતા પ્રવિણ મગનલાલ મગદાણી, પ્રવિણનો પુત્ર દર્શિત, પ્રવિણના ભાઈ ભાવિન અને રાકેશ કાંતીલાલ વાયા તેમજ તપાસમાં ખુલે તે શખસો સામે શરાફી પેઢીના તેમજ અલગ અલગ સ્કીમના નામે રોકાણ કરાવી ૨.૯૦ કરોડની ઉચાપત કર્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગુણવંતભાઈ તેમજ તેના પરિચીત અમીત જેસળીયાની ઓફીસે બેસવા જતા હતા ત્યાં ઓફીસે વકીલ પ્રવિણ મગદાણી પણ આવતો હતો. ૨૦૧૨ની સાલમાં પ્રવિણ મગદાણીએ પોતે શ્રી લક્ષ્મીનયન કો- ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી ચલાવે છે તેમાં ડેઇલી બચતમાં સારુ વળતર મળશે. તમારે જોઈએ ત્યારે લોન મળશે તેવી વાત કરી હતી અને ત્યાર બાદ રૈયા રોડ પર ન્યુ એરા સ્કુલ પાસે સોજીત્રાનગરમાં આવેલી આ ક્રેડીટ સોસાયટી શરાફી મંડળીની ઓફીસે બોલાવ્યો હતો.
જયાં હાજર મંડળીના ચેરમેન, ડીરેક્ટર પ્રવિણ મગદાણી અને તેના ભાઈ ભાવિન મગદાણીએ સ્કીમ સમજાવી હતી અને ડેઇલી બચતમાં ૫૦૦ રૂપિયાનું ખાતુ ખોલાવી ૯.૯૦ લાખનું રોકાણ કરાવ્યું હતું.બે વર્ષ બાદ ૨૦૧૪માં પ્રવિણે કહ્યું કે, તેનો પુત્ર ભાવિન રામા જવેલર્સ નામે ગોલ્ડ સ્કીમ ચાલુ કરી છે જેમાં સિલ્વર સ્ટોન જેમ્સ અને જવેલરીના ડાયરેકટર તરીકે ભાવિન, દર્શિત તેમજ રાકેશ કાંતીલાલ વાયા હતા. આ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવા માટે સોનુ ખરીદવું હોય તો હપ્તા ભરવાના હોય અને ૪૦ મહિના બાદ ડબલની સ્કીમ હતી. જે વાતોમાં આવી ગુણવંતે બે ગ્રામ સોનાની ૨૪ કેરેટની બચત સ્કીમમાં જોડાયો હતો. આવી જ રીતે અન્ય રોકાણકારો પણ આ ગોલ્ડ સ્કીમમાં જોડાયા હતા. જેમાં રોકાણકારોને ૪૦ મહિના બાદ કોઈ સોનુ મળ્યું ન હતું. મંડળીની ઓફીસ બદલાવીને રૈયારોડ પર ચંદન પાર્ક મેઈન રોડ શિવાલીક-૮ માં ફેરવી નાખી હતી. ત્યાં પ્રવિણે વર્ષ ૨૦૧૬ના રોજ દૈનિક બચત યોજનામાં નવું એકાઉન્ટ ચાલુ કરાવ્યું હતું.થોડા વખત બાદ પ્રવિણે ફરી ગુણવંતને સમજાવી તેના પુત્ર દર્શિતે સાધુ વાસવાણી રોડ પર નક્ષત્ર-૮માં આશુતોષ ફાઇનાન્સ નામે પેઢી ચાલુ કરી છે. જેમાં રોકાણ કરવાથી સારુ વળતર મળશે તેવું જણાવ્યું હતું અને ગુણવંતે વાતમાં આવીને ૩૨ લાખનું રોકાણ કર્યું હતું.એક વર્ષ બાદ ૨૦૧૭માં લક્ષ્મીનયન ક્રેડિટ સોસાયટી, આશુતોષ ફાઇનાન્સ અને રામા જવેલર્સની ઓફીસ બંધ થઈ ગઈ હતી. જેથી આમ આરોપીઓએ કુલ 12 લોકોને લાલચ આપી રૂ.૨.૯૦ કરોડની છેતરપિંડી કરતાં તેમના વિરુદ્ધ સાત વર્ષ બાદ ગુનો નોંધવામાં આવ્યો છે.
શ્રી લક્ષ્મીનયન ક્રેડિટ સોસાયટીનો ભોગ બનેલા રોકાણકારો
(1)દિનેશભાઇ ભવાનભાઇ લોખીલ- રૂ.10 લાખ, (2)સ્વાતીબેન દિનેશભાઈ લોખીલ-રૂ.4 લાખ,(3) મિતુલભાઇ ધિરજલાલ સામાણી- રૂ.12 લાખ, (4)ધિરજલાલ મોહનભાઇ સામાણી -રૂ.23 લાખ, (5)સંજયભાઇ દેવરાજભાઇ સીંસાગીયા -રૂ.4 લાખ, (6)પ્રતિકભાઈ સુરેશભાઈ રાંકજા- રૂ.3 લાખ,(7) સુરેશભાઇ રામજીભાઈ રાંકજા – રૂ.52 લાખ, (8)સીમાબેન અલ્કેશભાઇ મહેતા -રૂ. 6 લાખ, (9)ધવલભાઇ વિનોદરાય વૈષ્ણવ- રૂ.6 લાખ, (10)રોહીતભાઈ હેમંતભાઈ ચંદ્રાલા- રૂ.6.40 લાખ, (11)પિયુષભાઈ ઘનશ્યામભાઈ રાજ્યગુરૂ – રૂ.1.31 કરોડ અને (12) ગુણવંતભાઈ મોહનભાઈ લુણાગરીયા – રૂ.32.99 લાખ રોકાણ કર્યું હતું.