જેતપુરના કલરના વેપારીને ત્રાસ આપતા રબારીકાના બે વ્યાજખોર સામે વધુ એક ફરિયાદ
વેપારી પાસે સોનું ગીરવે મૂકાવી તેની લોન કરી વ્યાજખોરોએ તે પૈસા જ બમણા વ્યાજે આપ્યા : સોનું ભૂલી જવાનું કહી મારી નાખવાની ધમકીઓ આપતા ગુનો નોંધાયો
રાજયભરમાં વ્યાજના દૂષણને ડામવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્રારા લોકદરબાર યોજી વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી રહી છે.ત્યારે જેતપુરના કલરના વેપારીને ત્રાસ આપતા રબારીકાના બે વ્યાજખોર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.વેપારીએ ધંધા માટે વ્યાજે નાણાં લીધા હોય જેઓ પઠાણી ઉઘરાણી કરી તેઓનું ગીરવે મૂકેલું સોનું ભૂલી જવાનું કહી મારી નાખવાની ધમકીઓ આપતા ગુનો નોંધાયો છે.
વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને છેલ્લા ૨૮ વર્ષથી જેતપુરમાં અમરનગર રોડ પર સ્વામિનારાયણનગરમાં રહેતા સત્યેન્દ્રસિંગ ઉર્ફે સિકદર બુધનર્સિંગ કુશવાહ (ઉ.વ ૪૦) દ્રારા જેતપુર સિટી પોલીસ સ્ટેશન નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના રબારીકામાં રહેતા અશોક કાઠી અને વનરાજ બટુક વાળાનું નામ આપતા જણાવ્યું હતું.કે,તેઓ પાસે ગેરકાયદેસર ઉંચા દરે વ્યાજ તથા મુદ્દલ રકમની ઉઘરાણી કરતા અશોક કાઠી સહિત ચાર શખ્સો વિરૂધ્ધ સપ્તાહ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી.જેમાં આરોપી અશોકભાઈ કાઠીએ બીજા આરોપી વનરાજભાઈ બટુકભાઈ વાળા સાથે જે તે સમયે મુલાકાત કરાવી હતી. ત્યારે ફરિયાદીને પૈસાની જરૂરીયાત હોવાથી વનરાજ પાસેથી રૂ.૩,૫૦,૦૦૦ ઉંચા વ્યાજના દરે લીધા હતા. અને તેમની સામે વેપારીએ એટલી જ રકમના સોનાના ઘરેણાં ગીરવે મૂક્યા હતા.અને બાદમાં વેપારી સોનાના પૈસા આપી સોના ઘરેણાં પરત લેવા જતાં તેમને જાણવા મળ્યું હતું કે,બંને વ્યાજખોરોએ તેમના સોના પર લોન કરાવી તે જ પૈસા બમણા વ્યાજે વેપારીને આપ્યા હતા.વેપારીએ સોનું પરત માંગતા બંને શખ્સોએ મારી નાખવાની ધમકીઓ આપતા જેતપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.