રાજકોટના યુવાને પત્નીની હત્યા કરી આપઘાત કરી લીધો
ગોંડલ પાસે મહિલાની હત્યા અને રાજકોટમાં યુવાનના આપઘાતનો ભેદ એક સાથે ઉકેલાયો
ચાર માસ પૂર્વેજ લગ્નગ્રંથીએ જોડાયેલું યુગલ બે દિવસ પહેલા ઘરેથી ગુમ થયું*તું
ગોંડલના જામવાડી યુવતિની ગળું કાપી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તપાસમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી. હત્યાનો ભોગ બનનાર આ યુવતિ રાજકોટના જંકશન પ્લોટ ગાયકવાડી પાસેના કીટીપરામાં રહેતી સોનલ રવિ વઢવાણીયા (ઉ.વ.૨૦) હોવાનું ખુલ્યું હતું. સોનલનની હત્યા તેણીના પતિ રવિ વિનુભાઇ વઢવાણીયા (ઉ.વ.૨૧)એ કર્યા બાદ રવિએ રાજકોટમાં રેલ્વે હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
હવે પોલીસે આ હત્યાને આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
સમગ્ર બનાવની કરૂણતા એ છે કે ચુનારાવાડ કુબલીયાપરામાં રહેતી સોનલ દિપકભાઇ રાઠોડના ચાર માસ પૂર્વે જ કીટીપરામાં રવિ સાથે લગ્ન થયા હતાં. સોનલના પાંચ બહેન તથા એક ભાઇમાં ચોથા નંબરે હતી. જ્યારે રવિ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો હતો. રવિ તેના માતા શોભનાબેન અને પિતા વિનુભાઇ ભલજીભાઇ વઢવાણીયા સાથે બકાલાનો ધંધો કરતો હતો. રવિના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, રવિ બીમાર હોય સોમવારે બપોરે દવા લેવા જવાનું કહી પત્નિ સોનલ સાથે ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી મોડે સુધી બંને ઘરે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી.
દરમિયાન ગોંડલના જામવાડી પાસેથી સોનલની હત્યા કરાયેલી લાશ મળી હતી અને તેજ દિવસે બપોરે રવિએ ગોંડલ રોડ પર પીડીએમ ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. રવિ અને સોનલના અકાળે મોત થી બંનેના પરિવામાં કલ્પાંત સર્જાયો હતો.
રવિની પણ હત્યા થયાનો પરિવારનો આક્ષેપ
બીજી તરફ આ મામલે મૃતકના પરિવારજનોએ રવિ વિનુભાઇ વઢવાણીયાની પણ હત્યા થયાનો આક્ષેપ કરી તથસ્થ તપાસની માંગ કરી છે. રવિ અને સોનલ વચ્ચે કોઇ માથાકુટ નહિ હોવાનું સ્વજનોએ કહ્યું હતું. એવું તો શું બન્યું કે ચાર મહિના પહેલા જ પરણેલા રવિને પત્નિની હત્યા કરવી પડી અને પોતે આપઘાત કરવો પડયો?આ મામલે જિલ્લા પોલીસ વડાને દેવીપૂજક સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.