રાજકોટ : કોટેચા ચોક પાસેના તિરુપતિ મદ્રાસ કાફેમાં ગેસનો બાટલો લીક થતાં નાસભાગ
ફાયરની ટીમે પરિસ્થિતિ કાબૂમાં લીધી : રેસ્ટોરન્ટની તપાસ કરતા ફાયર NOC ન હોવાનું ખુલ્યું : સ્થળ પર જ નોટિસ
રાજકોટમાં વધુ એક મોટી આગની દુર્ઘટના થતાં સહેજમાં અટકી હતી. કોટેચા ચોક પાસેના તિરૂપતિ મદ્રાસ કાફેમાં ગઇકાલે સાંજના સમયે ગેસના બટલામાં લીકેજ થતાં લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. અને આ ઘટનાની જાણ કાલાવડ ફાયર બ્રિગેડની ટીમને થતાં તોએ ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.જ્યારે તપાસમાં રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC ન હોવાનું ખૂલતાં નોટિસ ફટકારવામાં આવી હતી.
વિગતો મુજબ કોટેચા ચોક પાસે નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલા તિરુપતિ મદ્રાસ કાફેમાં પડેલા ગેસના બટલામાં લીકેજ થતું હોવાની જાણ રેસ્ટોરન્ટના માલિક બાલકૃષ્ણ નારાયણસ્વામી નાયડુએ ફાયરની ટીમને કરતાં કાલાવડ રોડ પરની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી. અને લીક થતાં ગેસના બટલાને બંધ કર્યો હતો. જ્યારે આગ લાગી ન હતી. અને અહીની પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.તપાસ કરતાં કુલ ચાર ગેસના બટલાઓ પડ્યા હતા.અને જેમાંથી બે ખાલી અને બે ભરેલા હતા.
ફાયરની ટીમે માલિક પાસેથી ફાયર NOC રજૂ કરવાનું કહેતા માલિકે ફાયર NOC ન હોવાનું જણાવ્યું હતું. જેથી તેને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી. રેસ્ટોરન્ટની બાજુમાં જ ફાયરની ઓફિસ હોવાથી ટીમ ઘટના સ્થળે મિનિટોમાં પહોંચી જતાં મોટી જાનહાનિ થઈ ન હતી. પરંતુ જો ફાયરની ટીમને પહોંચતા થોડું પણ મોડુ થયું હોત તો માલિકની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના બની હોત.