નોનવેજની લારીએ સરાજાહેર કેટરર્સના ધંધાર્થીની હત્યા: હત્યારો ગણતરીના કલાકોમાં પકડાયો
રાજકોટમાં પોલીસની ઢીલી નીતિને કારણે વધુ એક વખત ઇંડા-નોનવેજની લારી પર માથાકૂટમાં હત્યાનો બનાવ બન્યો છે જેમાં ગોંડલ રોડ પર રાજકમલ ફાટક પાસે કેટરર્સના ધંધાર્થીની ગઢવી શખ્સે હત્યા કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી.
રાજકોટમાં અગાઉ પણ ઇંડા-નોનવેજની લારી પર માથાકૂટ અને હત્યાના બનાવ બની ચુક્યા છે. મોડી રાત્ર સુધી ધમધમતા આવા નોનવેજ અને ઇંડાની લારીએ મોટાભાગે દારૂ પી આવારા તત્વો જમવા આવતા હોય અવારનવાર માથાકૂટ થાય છે. પોલીસની આવા નોનવેજની લારીએ ચેકિંગ કરતાં ડરે છે જેથી આવા બનાવો બને છે. રાજકોટમાં નોનવેજની લારીએ બનેલા બનાવમાં ગોંડલ ચોકડી પાછળ રિધ્ધી સિધ્ધિ સોસાયટીમાં રહેતાં હિનાબેન સંજયભાઈ મારડીયા (ઉ.વ.35) ની ફરિયાદને આધારે ભક્તિનગર પોલીસે હત્યામાં સંડોવાયેલ ભરતદાન ગઢવી સામે ગુનો નોંધ્યો છે. રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મૂળ ગોંડલના વસાવડના વતની અને રાજકોટમાં સમય કેટરસ નામે ધંધો કરતા સંજય મહેશભાઈ મારડીયા (ઉ.વ.35) ઢેબર રોડના ખૂણા ઉપર નોનવજની લારીએ ઇંડા ખાવા ગયો હતો ત્યારે ત્યાં ઇંડા ખાવા આવેલ ભરતદાન ગઢવી સાથે માથાકૂટ થઈ હતી જેમાં મૃતક સંજયે તમે ગઢવી બોવ ફાટી નિકળા છો તેમ કહેતા ભરતદાને સંજય ઉપર સરા જાહેર હુમલો કરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. બનાવની જાણ મૃતકના પરિવારને થતાં હોસ્પિટલે દોડી આવ્યો હતો અને કલ્પાંત કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતક સંજયે ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો. તેણે 12 વર્ષ પૂર્વે હિનાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં દીકરો પર્વ(ઉ.8) અને દીકરી(ઉ.5) છે. બનાવથી પ્રજાપતિ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
આ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા,ભક્તિનગર પોલીસના સેકન્ડ પીઆઇ એસ.ડી.ગિલવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ ભરતદાન ગઢવીને ઝડપી લીધો હતો. સકંજામાં લઈ તેની સઘન પૂછપરછ શરૂ કરી છે.